માનવાધિકાર ભંગ વિરુદ્ધ ભારતે ઓછી તો પાકિસ્તાને ભાગ્યે જ કાર્યવાહી કરી, અમેરિકાનો રિપોર્ટ
Human Rights Violations US slams Report: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ભારતથી નારાજ છે. તેમણે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાન સાથે તેમની નિકટતા વધી ગઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર તાજેતરમાં બે વાર અમેરિકા ગયા હતા. જોકે, આ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમેરિકાએ માનવાધિકાર ઉલ્લંઘન પર એક વાર્ષિક રિપોર્ટ બહાર પડ્યો છે. રોયટર્સ મુજબ, આ રિપોર્ટ દ્વારા પાકિસ્તાનને સખત ફટકાર લગાવવામાં આવી છે. ત્યારે ભારત વિશે પણ આ રિપોર્ટમાં સારો ઉલ્લેખ નથી કરાયો.
અમેરિકાએ 12 ઓગસ્ટના રોજ આ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું છે કે પાકિસ્તાન માનવાધિકાર હનનના કેસોમાં માત્ર ક્યારેક જ કાર્યવાહી કરે છે. આ રિપોર્ટમાં ભારતનો પણ ઉલ્લેખ છે. ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ આ વૈશ્વિક માનવાધિકાર રિપોર્ટનું કદ નાનું કરી દીધું છે. આ સાથે જ સહયોગી દેશોની ટીકા પણ ઓછી કરી છે.
ભારત-પાકિસ્તાન અંગેનો રિપોર્ટ શું કહે છે?
રિપોર્ટમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે કે, ' ભારત સરકારે માનવાધિકારનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે બહુ ઓછાં અને ખાતરીપૂર્વકનાં પગલાં લીધાં છે. તેમની સામે બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવી છે.'
બીજી તરફ, પાકિસ્તાન વિશે કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન સરકારે માનવાધિકારનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે ભાગ્યે જ કડક પગલાં લીધાં છે.' આ રિપોર્ટ પાકિસ્તાન માટે એક મોટો ફટકો છે.
શું ભારત અને અમેરિકા વચ્ચેનું અંતર વધ્યું છે?
ડોનાલ્ડ ટ્રમ્પને એ વાતથી વાંધો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. તેમણે કહ્યું હતું કે, ભારત સારો ભાગીદાર નથી. ટ્રમ્પે આ જ કારણ આપીને ટેરિફ બમણો કરી દીધો. પહેલાં 25% ટેરિફ લગાવ્યો હતો, જેને વધારીને 50% કરી દીધો.
બીજી તરફ, અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર આવ્યો છે. 'ઓપરેશન સિંદૂર' પછી તેઓ બંને ખૂબ નજીક આવી ગયા છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર બે વાર અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યા છે.