પાકિસ્તાનની કાગારોળ: ખ્વાજા આસિફે ફરી કહ્યું, ભારત ગમે ત્યારે કરી શકે છે હુમલો
Pakistan Fear: 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિત છે. બીજી તરફ પાકિસ્તાનને સતત ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો છે અને તેઓ વારંવાર કહી રહ્યા છે કે, ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. હવે તાજેતરમાં પાકિસ્તાનના સરંક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, ભારત ગમે ત્યારે LOC પર મિલિટ્રી સ્ટ્રાઈક કરી શકે છે.
ભારત LOC પર કોઈ પણ પોઈન્ટ પર હુમલો કરી શકે
એક અહવાલ પ્રમાણે ઈસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, 'એવા સમાચાર છે કે ભારત LOC પર કોઈ પણ પોઈન્ટ પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનનના વડાપ્રધાન શહબાઝ શરીફે પહલગામ હુમલાની આતંરરાષ્ટ્રીય તપાસની માગ કરી છે.'
પાકિસ્તાનમાં ભારતનો ખોફ
ખ્વાજા આસિફે આગળ કહ્યું કે, 'આ તપાસથી એ ખુલાસો થઈ જશે કે ભારત ખુદ અથવા કોઈ આંતરિક જૂથ આ હુમલામાં સામેલ હતું અને તેનાથી નવી દિલ્હીના પાયાવિહોણા આરોપો પાછળનું સત્ય બહાર આવશે.' આ પહેલી વાર નથી જ્યારે કોઈ પાકિસ્તાની મંત્રીએ કહ્યું હોય કે પહલગામ હુમલા પછી ભારત તરફથી સૈન્ય કાર્યવાહી થઈ શકે છે. આ અગાઉ દેશના માહિતી મંત્રી અત્તા તરારે પણ ગત અઠવાડિયે કહ્યું હતું કે ભારત દ્વારા સંભવિત હુમલાના ભયના કારણે આગામી 24-36 કલાક મહત્વપૂર્ણ છે. જોકે, એ સમય વીતી ગયો અને આવી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં નથી આવી.
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર
આ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે સોમવારે દેશની પ્રતિષ્ઠા અને પોતાના લોકોની સમૃદ્ધિનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાની દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ હુમલામાં 25 પ્રવાસીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ભારતમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માગ વધી રહી છે. આ વચ્ચે ભારતના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને 7 મે, 2025ના રોજ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે.