‘આ કાબુલનો મેસેજ’, ઈસ્લામાબાદ બોમ્બ બ્લાસ્ટમાં 12ના મોત બાદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી તાલિબાન પર ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Islamabad Bomb Blast : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કોર્ટ બહાર કાર બ્લાસ્ટની ઘટનામાં 12 લોકોના મોત અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા બાદ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન પર નિશાન સાધ્યું છે. આસિફે કહ્યું કે, ‘આ વિસ્ફોટ ગંભીર ખતરાના અણસાર સમાન છે. વર્તમાન સમયમાં પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં છે.’ આ સાથે તેમણે શાંતિ સમજૂતી ન થવા પાછળ અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે.
ઈસ્લામાબાદમાં ધડાકો એ અફઘાન સરકારનો મેસેજ
આસિફે કહ્યું કે, ‘જે કોઈ પણ એવું વિચારે છે કે પાકિસ્તાની સેના આ યુદ્ધ અફઘાન-પાકિસ્તાન સરહદી વિસ્તાર અને બલૂચિસ્તાનના દૂરના વિસ્તારોમાં લડી રહી છે, તો તેણે ઈસ્લામાબાદ કોર્ટ પર થયેલા આત્મઘાતી હુમલાને એક ચેતવણી તરીકે લેવો જોઈએ. આખા પાકિસ્તાન માટે આ એક યુદ્ધ છે, જેમાં પાકિસ્તાની સેના બલિદાન આપી રહી છે અને લોકોને સુરક્ષિત અનુભવ કરાવી રહી છે.’
આસિફે અફઘાન સરકાર પર સાધ્યું નિશાન
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી (Pakistan Defence Minister Khawaja Asif)એ કહ્યું કે, ‘આવી સ્થિતિમાં અફઘાન સરકાર સાથે શાંતિ સમજૂતીની વાતચીત સફળ થવાની આશા ન રાખવી જોઈએ. અફઘાન સરકાર પાકિસ્તાનમાં આતંકવાદ અટકાવી શકે છે, પરંતુ આ યુદ્ધને ઈસ્લામાબાદ સુધી લાવવું એ અફઘાન સરકારનો એક સંદેશ છે અને આ સંદેશનો જવાબ આપવા માટે પાકિસ્તાન સંપૂર્ણ તાકાત ધરાવે છે.’
ઈસ્લામબાદમાં આત્મઘાતી હુમલો
પાકિસ્તાની સમાચાર પત્ર ડૉનના રિપોર્ટ મુજબ, મોહસીન નક્વીએ વિસ્ફોટને આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘હુમલાખોરો લગભગ 12 મિનિટ સુધી કોર્ટ બહાર ઉભા રહ્યા હતા. તેઓએ કોર્ટમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ અંદર જઈ શક્યા ન હતા, જેના કારણે તેઓએ પોલીસના વાહનને નિશાન બનાવ્યું હતું. આ સામાન્ય બોંબ વિસ્ફોટ ન હતો. અમે ઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.’








