પાકિસ્તાનમાં મોટો હુમલો, લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Suicide Attack: પાકિસ્તાનના ઉતર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભ દરમિયાન એક આત્મઘાતી હુમલો થયો, આ હુમલામાં 5 લોકોના મોત થયા જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા, ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે, 'આ એક આત્મઘાતી બોમ્બ હુમલો હતો, જે કુરેશી મોડ પાસે શાંતિ સમિતિના પ્રમુખ નૂર આલમ મહેસુદના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન થયો. હુમલા સમયે મહેમાનો નાચગાન કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રૂમની છત તૂટી પડી હતી, જેના કારણે બચાવકાર્ય મુશ્કેલ બન્યું હતું. ઘણા લોકો તેની નીચે દબાયેલા હતા. જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઈમરજન્સીની ઘોષણા કરી દેવામાં આવી હતી.'
વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી
ખૈબર પખ્તુનખ્વા રેસ્ક્યૂ 1122ના પ્રવક્તાએ કહ્યું છે કે 5 મૃતદેહ અને 10 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઘટનાની સૂચના મળતા જ સાત એમ્બ્યુલન્સ અને એક ફાયર વિભાગની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. બચાવકાર્ય હાલ પ્રગતિ પર છે. અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો છે તેમજ ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ શાંતિ સમિતિના નેતા મૃતકોમાં વહિદુલ્લા મહેસૂદ ઉર્ફે જીગરી મહેસૂદનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ વિસ્ફોટની ઘટનાને વખોડી કાઢી કેપીના પોલીસ અધિકારીઓ પાસે તાત્કાલિક રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. તેમજ કહ્યું છે કે હુમલામાં સામેલ ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં અમેરિકાનો નવો દાવ ભારત માટે માથાનો દુઃખાવો, પાકિસ્તાન સમર્થક પાર્ટીને ટેકો
શાંતિ સમિતિના ચાર સભ્યોની હત્યા
જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ખૈબર પખ્તુનખ્વામાં હથિયારધારી હુમલાખોરોએ શાંતિ સમિતિના ચાર સભ્યોની હત્યા કરી હતી, નવેમ્બર 2025માં ખૈબર પખ્તુનખ્વાના બન્નું જિલ્લામાં એક શાંતિ સમિતિના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા. ત્યારે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે મૃતકોમાં એક ગુડ તાલિબાન પણ સામેલ હતો. જે રાજ્યના સમક્ષ આત્મસમર્પણ કરનાર પૂર્વ આતંકવાદી હતો બાકીના તેના સંબંધીઓ હતા.








