World

યુદ્ધની અણીએ પહોંચેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ઈદ-ઉલ-ફિત્ર સુધી સીઝફાયર

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
સીમા વિવાદ અને આતંકવાદી હુમલાઓને કારણે યુદ્ધની અણીએ પહોંચેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. સાઉદી અરેબિયા, તૂર્કિયે અને કતાર જેવા મિત્ર દેશોની મધ્યસ્થી અને વિનંતી બાદ બંને પક્ષોએ લશ્કરી કાર્યવાહી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધની અણીએ પહોંચેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ઈદ-ઉલ-ફિત્ર સુધી સીઝફાયર

Pakistan-Afghanistan conflict: સીમા વિવાદ અને આતંકવાદી હુમલાઓને કારણે યુદ્ધની અણીએ પહોંચેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. સાઉદી અરેબિયા, તૂર્કિયે અને કતાર જેવા મિત્ર દેશોની મધ્યસ્થી અને વિનંતી બાદ બંને પક્ષોએ લશ્કરી કાર્યવાહી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.

ઓપરેશન 'ગઝ્બ-લિલ-હક' પર અસ્થાયી બ્રેક

પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, 'ઓપરેશન ગઝ્બ-લિલ-હક' હેઠળ સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા હુમલાઓને 18 માર્ચની મધ્યરાત્રિથી 23 માર્ચ સુધી રોકી દેવામાં આવશે. જોકે, પાકિસ્તાને ચેતવણી પણ આપી છે કે જો સરહદ પારથી કોઈ ઉશ્કેરણીજનક હુમલો કે આતંકવાદી ઘટના બનશે, તો આ કામગીરી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવશે.'

અફઘાનિસ્તાનનો વળતો પ્રતિસાદ

પાકિસ્તાનની જાહેરાતના કલાકો બાદ અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પણ સુરક્ષા દળો દ્વારા સંરક્ષણ કામગીરી સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી. મુજાહિદે જણાવ્યું હતું કે, 'અમે ઈદના અવસરે અને મિત્ર દેશોના માન ખાતર વિરામ રાખ્યો છે, પરંતુ કોઈપણ આક્રમણનો બહાદુરીપૂર્વક જવાબ આપવા અમે તૈયાર છીએ.'

આ પણ વાંચો: 'ન્યૂક્લિયર નીતિ નહીં બદલાય...', ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમોની તરફેણ કરી

હોસ્પિટલ પર હુમલો અને સામૂહિક અંતિમ સંસ્કાર

આ સીઝફાયર એવા સમયે આવ્યો છે જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર કાબુલની 'ઓમિદ' હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અફઘાન અધિકારીઓએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાની હવાઈ હુમલામાં 408 લોકોના મોત થયા છે અને 265 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનમાં બુલડોઝરની મદદથી મોટી કબરો ખોદીને મૃતકોના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. પાકિસ્તાને હોસ્પિટલને નિશાન બનાવ્યાના આરોપને પ્રોપગેન્ડા ગણાવી નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેમણે માત્ર લશ્કરી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.

વૈશ્વિક મધ્યસ્થીની ભૂમિકા

આ વિવાદને શાંત પાડવા માટે સાઉદી અરેબિયા, કતાર અને તૂર્કિયે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ દેશોની સતત વિનંતી બાદ જ બંને દેશો ઈદ સુધી શાંતિ જાળવવા સંમત થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિરામથી સરહદ પર ફસાયેલા સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.