'હું તેમને જવાબ જ નથી આપતી', ભારતીયો વિશે ન્યૂઝીલેન્ડના મંત્રીની ટિપ્પણી, અન્ય નેતાઓનો વિરોધ
New Zealand Minister Slammed For Her Remarks India: ન્યૂઝીલેન્ડના ઈમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડ ભારતીયોની લાગણી દુભાવવા બદલ વિવાદોમાં છે. એક સવાલનો જવાબ આપતા તેમણે ભારતીયો દ્વારા મોકલાતા ઈ-મેઈલને સ્પેમ ગણાવી તેનો ક્યારેય જવાબ આપતા નહીં હોવાનું કહ્યું હતું. આ નિવેદન પછી ન્યૂઝીલેન્ડમાં વિવાદ સર્જાયો છે.
એરિકા સ્ટેનફોર્ડને એક સવાલ કરાયો હતો કે, તેમણે સરકારી ઈ-મેઈલને પોતાના પર્સનલ જી-મેઈલ એકાઉન્ટ પર કેમ ફોરવર્ડ કરી દીધા છે.
આ વાતનો જવાબ આપતાં એરિકાએ કહ્યું કે, ‘હું સત્તાવાર રીતે ઈન્ફોર્મેશન એક્ટનું પાલન કરું છું. હું તમામ વિગતોને આવરીને તેને સંસદીય ઈ-મેઈલ એકાઉન્ટ પર ફોરવર્ડ કરવાની ખાતરી આપું છું. પરંતુ કેલ્વિન ડેવિસની જેમ મને ઘણાં બધાં અજાણ્યા ઈ-મેઈલ આવે છે. જેમ કે, ભારતથી આવતા ઈમિગ્રન્ટ્સ ઈમિગ્રેશન વિશે સલાહ માગતાં સંખ્યાબંધ ઈ-મેઈલ કરે છે. હું તેનો જવાબ આપતી નથી. હું તેને સ્પેમ માનું છું.’
એરિકાના આ નિવેદનથી ભારતીય સમુદાય અને વિપક્ષ સાંસદો નારાજ થયા હતાં.
ભારતીય મૂળના સાંસદ થયા નારાજ
લેબર પાર્ટીના સાંસદ અને ભારતીય મૂળ (ચેન્નઈ)ના પ્રિયંકા રાધાકૃષ્ણને એરિકા સ્ટેનફોર્ડના આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી આખા ભારતીય સમુદાય વિરૂદ્ધ નેગેટિવ સ્ટીરિયોટાઈપ માનસિકતા દર્શાવે છે. મંત્રીના મોઢે એક ચોક્કસ ગ્રૂપ માટે આ પ્રકારના નિવેદનો સ્વીકાર્ય જ નથી.
આ પણ વાંચોઃ BIG NEWS: ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી
એરિકાએ આપી સ્પષ્ટતા
આ વિવાદ વધતાં એરિકાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં એવું નથી કહ્યું કે, તે ઓટોમેટિકલી સ્પેમ છે. હું તેને સ્પેમ માનું છું. મારા પર્સનલ ઈમેઈલ પર અનેક ઈ-મેઈલ આવે છે. માત્ર ભારતીયોના જ નહીં. આ ફક્ત એક ઉદાહરણ હતું.’
એરિકા સ્ટેનફોર્ડ 27 નવેમ્બર, 2023થી ન્યૂઝીલેન્ડના ઈમિગ્રેશન મંત્રી તરીકે સેવા આપે છે. ન્યૂઝીલેન્ડમાં 15000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એવામાં ન્યૂઝીલેન્ડના ઈમિગ્રેશન મંત્રી દ્વારા આ પ્રકારનું નિવેદન હજારો ભારતીય ઈમિગ્રન્ટ્સની લાગણીને દુભાવનારૂં હોવાનું વિપક્ષે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે, ભારત અને ન્યૂઝીલેન્ડ ટુરિઝમ, સ્પોર્ટ્સ, અને શિક્ષણ ક્ષેત્રે ગાઢ સંબંધો ધરાવે છે.