Netanyahu orders Powerful Strikes in Gaza: મધ્ય પૂર્વમાં ફરી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સેનાને આદેશ આપ્યો છે કે, ગાઝા પટ્ટીમાં 'તાત્કાલિક અને શક્તિશાળી હુમલા' કરવામાં આવે. આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે હાલમાં જ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલું યુદ્ધવિરામ સમજૂતી ખતરામાં છે.
હમાસે તોડ્યું યુદ્ધવિરામ, ઈઝરાયલી સૈનિકો પર હુમલો
મંગળવારે ઈઝરાયલી સેના (IDF)એ જણાવ્યું કે, હમાસના આતંકવાદીઓએ દક્ષિણી ગાઝામાં ઈઝરાયલી સૈનિકો પર ફાયરિંગ કર્યું, જેનાથી યુદ્ધવિરામની શરતોનું સીધું ઉલ્લંઘન થયું. તેના કેટલાક કલાકો બાદ નેતન્યાહૂએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા.
આ પણ વાંચો: હવે તો, ઇસ્લામાબાદને જ નિશાન બનાવીશું અફઘાનની ચેતવણી : તૂર્કી પણ સમાધાન કરાવી શક્યું નથી
બંધકના અવશેષો પરત કરવાથી વિવાદ વધ્યો
હમાસે ઇઝરાયલી બંધકના આંશિક અવશેષો પરત કર્યા ત્યારે તણાવમાં વધારો થયો, જે ઇઝરાયલે લગભગ બે વર્ષ પહેલાં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા નાગરિકોના મૃતદેહ હોવાનો દાવો કર્યો હતો. વડાપ્રધાન નેતન્યાહૂએ તેને યુદ્ધવિરામ કરારનું "સ્પષ્ટ ઉલ્લંઘન" ગણાવ્યું અને કહ્યું કે "હમાસે વિલંબ કર્યા વિના બધા બંધકોના અવશેષો પરત કરવા જોઈએ, આ કરારનો એક ભાગ હતો." સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પણ ચેતવણી આપી છે કે ગાઝામાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થશે તો પહેલાથી ગંભીર માનવીય સંકટ વધુ ખરાબ થશે.
વર્ષોથી ચાલી રહ્યો છે તણાવ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ ઓક્ટોબર 2023માં શરૂ થયો હતો, જ્યારે હમાસે ઇઝરાયલ પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. જવાબમાં ઇઝરાયલે ગાઝા પર તીવ્ર હવાઈ અને જમીની હુમલાઓ શરૂ કર્યા હતા. ત્યારબાદ અમેરિકા અને કતાર દ્વારા મધ્યસ્થતાથી મર્યાદિત યુદ્ધવિરામ લાગુ કરાયું હતું, જેથી માનવીય સહાય પહોંચી શકે અને કેટલાક બંધકોની મુક્ત કરી શકાય. જો કે, તાજેતરના હુમલાઓ અને બંધક વિવાદે ફરી એકવાર કરારને પતનની અણી પર લાવી દીધો છે.


