નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે ભારતની ન્યુઝ ચેનલોનું પ્રસારણ બંધ કરાયું
શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં 68 વર્ષીય ઓલીના રાજકીય ભાવિનો નિર્ણય લેવામાં આવશે
કાઠમંડુ, 9 જુલાઇ 2020 ગુરૂવાર
રાજકીય સંકટ વચ્ચે નેપાળમાં ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું છે. નેપાળના કેબલ ટીવી પ્રોવાઇડરોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે દેશમાં ભારતીય ન્યૂઝ ચેનલોના સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે. જો કે, હજી સુધી નેપાળ સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.
બીજી તરફ, નેપાળની શાસક નેશનલ કમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)માં ઉદ્ભવેવા મતભેદો સમાપ્ત થતા જોવા મળતા નથી. ગુરૂવારે (9 જુલાઇ) મીડિયા રિપોર્ટ મુજબ વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને પાર્ટીના કાર્યકારી પ્રમુખ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' વચ્ચે એક અઠવાડિયામાં અડધા ડઝનથી વધુ બેઠકો બાદ પણ કોઈ સર્વસંમતિ સધાઇ નથી.
બુધવારે (8 જુલાઈ)નાં દિવસે એનસીપીની 45 સભ્યોની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક શુક્રવાર (10 જુલાઇ) સુધી મુલતવી રાખવામાં આવી હતી.પક્ષના બંને પ્રમુખોને મતભેદો હલ કરવા માટે પૂરતો સમય મળે તે માટે આ સતત ચોથી વખત પાર્ટીની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
અપેક્ષા રાખવામાં આવે છે કે શુક્રવારે સ્થાયી સમિતિની બેઠક દરમિયાન 68 વર્ષીય ઓલીના રાજકીય ભાવિનો નિર્ણય લેવામાં આવી શકે છે.