નેપાળને સળગતું મૂકી ક્યાં ભાગી ગયા PM ઓલી? દેખાવકારો બેકાબૂ
Nepal Protest: નેપાળ હાલ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું છે. વિરોધ પ્રદર્શનો અને હિંસા વચ્ચે, કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. સંસદ ભવનથી લઈને પીએમ હાઉસ સુધી અને ઘણી મોટી સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી છે. હિંસક ટોળા દ્વારા ઘણા મંત્રીઓને માર મારવામાં આવ્યો છે. પરંતુ આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે ઓલી ક્યાં છે?
હાલ ક્યાં છે નેપાળના પૂર્વ વડાપ્રધાન?
ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનોને કારણે 9 સપ્ટેમ્બરે ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ, એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કાઠમાંડુમાં એક સુરક્ષિત ઘરમાં છે. ભક્તપુરમાં તેમના નિવાસસ્થાન બાલાકોટને વિરોધીઓએ સળગાવી દીધું છે. દરમિયાન, એવી પણ અટકળો છે કે તેઓ દુબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થવાને કારણે તેમ કરી શક્યા નહીં. હાલમાં તેઓ કાઠમાંડુમાં જ એક સુરક્ષિત સ્થળે હોવાનું કહેવાય છે.
વિરોધમાં 22 લોકોના મોત
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા Gen-Z વિરોધ પ્રદર્શનો ઓલીના રાજીનામા પછી પણ અટકતા દેખાતા નથી. યુવાનોએ ભ્રષ્ટાચાર, નેપોટિઝ્મ અને બેરોજગારી સામે અવાજ ઉઠાવ્યો છે. અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે 300 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
આ પણ વાંચોઃ મેક્સિકોમાં ગંભીર અકસ્માત, ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લેતાં 10 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત
નેપાળમાં રમખાણો
વિરોધીઓએ સંસદ ભવન, સિંહ દરબાર, ઓલીના બાલાકોટ નિવાસસ્થાન, નેપાળી કોંગ્રેસ કાર્યાલય અને ઘણા મંત્રીઓના ઘરોને આગ ચાંપી દીધી. કેટલીક જગ્યાએ જેલ તોડવાની ઘટનાઓ પણ બની. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ છે. બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. શટલ બસો દ્વારા પ્રવાસીઓને હોટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.