મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 25ના મોત, 43 ગુમ, બેંગકોકમાં ઈમરજન્સી
Myanmar Earthquake: મ્યાનમારમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આચંકાઓથી ધરા ધ્રુજી ઉઠી છે. એક પછી એક બે ભૂકંપ નોંધાતા થાઈલેન્ડની રાજધાની બેંગકોંક અને મ્યાનમારમાં ઈમારતો ધરાશાયી થઈ છે. રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા 7.7ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું Sagaing રહ્યું છે. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે. ચીન અને તાઈવાનના અમુક હિસ્સામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભારતમાં દિલ્હી-બિહારમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. બચાવ કર્મી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ભૂકંપના કારણે અત્યારસુધીમાં મ્યાનમારના માંડલેયમાં 20 અને ટૌગુમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે થાઈલેન્ડમાં ડઝનથી વધુ લોકો ઘવાયા છે. અને 43 લોકો ગુમ છે.
વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતિત છું. તમામ પ્રકારની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. ભારત સંભવિત તમામ સહાય કરવા માટે તત્પર છે. અમે આ સંદર્ભે પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. વિદેશ મંત્રાલયે પણ મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારના સંપર્કમાં છે. તમામ સુરક્ષિત રહે તેવી કામના કરી છે.
થાઈલેન્ડમાં ઈમરજન્સી જાહેર
થાઈલેન્ડમાં એરપોર્ટ પર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટ પણ કેન્સલ થઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ભૂકંપ બાદ બેંગકોંકમાં ઈમરજન્સી લાદી છે. થાઈલેન્ડ અને મ્યાનમારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. અનેક ઈમારતો આંખના પલકારે જમીનદોસ્ત થઈ છે. અનેક લોકો ગુમ છે. USGS એ હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભૂકંપના અનેક વીડિયો વાઈરલ થયા છે. જેમાં ઊંચી ઊંચી ઈમારતો ભૂકંપના ઝાટકાથી પળભરમાં ધરાશાયી થઈ છે.