રોહિત શર્મા 2027 વનડે વર્લ્ડકપ જરૂર રમશે! મોહમ્મદ કૈફે જણાવ્યું ખાસ કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

2027 World Cup: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લેવાયા બાદ તેના ભવિષ્ય પર સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. રોહિતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ (IND vs AUS) માટે ટીમમાં માત્ર બેટર તરીકે સામેલ કરાયો છે. જો કે, પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ માને છે કે રોહિત શર્મા ચોક્કસપણે 2027ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે.
બાઉન્સ સંભાળવા માટે રોહિત માસ્ટર
2027ના વર્લ્ડ કપ સમયે રોહિત શર્મા 38 વર્ષના હશે. આટલી મોટી ઉંમરે પણ તેના રમવા અંગે મોહમ્મદ કૈફે કહ્યું કે, '2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે, જ્યાં પીચ ખૂબ જ ઝડપી અને ઉછાળવાળી હોય છે. આવી પરિસ્થિતિઓમાં રોહિતનો અનુભવ ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.'
રોહિત શર્માની બેટિંગ અંગે મોહમ્મદ કૈફે કહ્યું કે, 'ત્યાં બોલ સ્વિંગ અને ઉછાળ થાય છે. જો તમે ફક્ત નવા ખેલાડીઓનો ઉપયોગ કરશો, તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રોહિતનો પુલ શોટ અને કટ શોટ રમવામાં ઉત્તમ છે. આવી સ્થિતિમાં ફક્ત એક જ બેટર ટકી શકે છે જે બાઉન્સ સંભાળી શકે, રોહિત શર્મા આમાં માસ્ટર છે. ભારત પાસે બીજો કોઈ બેટર નથી જે રોહિત શર્માની જેમ આક્રમક રીતે બાઉન્સ સંભાળી શકે.'
મુશ્કેલ મેચોમાં રોહિત-વિરાટ અનિવાર્ય
મોહમ્મદ કૈફે કહ્યું કે, 'વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ ઉતાર-ચઢાવથી ભરેલી હોય છે. ક્યારેક ટીમ મેચ હારી જાય છે, અને એવા સમયે ટીમને એવા ખેલાડીઓની જરૂર હોય છે જે પાછા ફરી શકે. આવી મહત્ત્વપૂર્ણ મેચોમાં રોહિત અને વિરાટની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.'
ટીમમાં સ્થાન માટે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે
નોંધનીય છે કે, રોહિત અને વિરાટની કારકિર્દી અંગેની ચિંતાઓ વચ્ચે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે સ્પષ્ટ કર્યું છે કે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે બંને દિગ્ગજ ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટ રમવું પડશે.
અહેવાલો અનુસાર, વિરાટ કોહલી અને રોહિત શર્માએ અગરકરની આ સલાહ સ્વીકારી લીધી છે. બંને ખેલાડીઓ 24 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં ઓછામાં ઓછી ત્રણ અથવા સંભવતઃ ચાર મેચ રમશે.








