ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
India Advisory News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે રવિવારે (15મી જૂન) નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 'બધા ભારતીયો સુરક્ષિત છે. ભારતીય દૂતાવાસ ત્યાંની પરિસ્થિતિ અને ભારતીય નાગરિકોની સલામતી પર સતત નજર રાખી રહ્યું છે.'
શું કહ્યું એડવાઈઝરીમાં
ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, 'અમે 24/7 હેલ્પલાઇન સ્થાપિત કરી છે. ભારતીય સમુદાયના સભ્યો સાથે અમે સતત સંપર્કમાં છીએ. ભારતીયોએ ગભરાવાની જરૂર નથી બસ સાવચેત રહે અને ઈન્ટરનેટ મીડિયા દ્વારા ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે. ભારતીયોની સલામતી અમારા માટે સર્વોપરી છે.'
આ પણ વાંચો: પેરુમાં 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત, લોકો ફફડી ગયા
બિનજરૂરી અવર-જવર ટાળવી
ભારતીયોને સતર્ક રહેવા, કોઈપણ બિનજરૂરી હિલચાલ ટાળવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ ઇઝરાયલમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે, જેમાં કેર વર્કર્સ, કામદારો, વિદ્યાર્થીઓ, વ્યવસાય અને પ્રવાસી જૂથોનો સમાવેશ થાય છે.
હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા
ભારતીય મિશન દ્વારા જણાવાયું હતું કે 24/7 હેલ્પલાઇન વર્તમાન પરિસ્થિતિ અંગે કોઈપણ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. દૂતાવાસે જરૂરિયાતમંદ ભારતીયો માટે ફોન નંબર +972547520711 અને +972543278392 શેર કર્યા છે.