London Annoyed by Pan and Gutkha Stains: પૃથ્વી પર જ્યા જ્યા માનવ સભ્યતાએ પગ મૂક્યો, ત્યાં તે પોતાની છાપ છોડી અને આગળ વધ્યો. ભારતીયો આ બાબતમાં થોડા વધુ આગળ વધ્યા છે. તેઓ 'યત્ર તત્ર સર્વત્ર' મોંમાં ભરેલા પાન અને ગુટખા થૂંકે છે. આ લોકો રસ્તાઓ પર, ફૂટપાથ પર, લિફ્ટના ખૂણામાં, સીડીઓ પર... જ્યાં પણ તેમને તક મળી, ત્યાં તેઓ 'પીચકારી' મારી થૂંકતા રહે છે. નવાઈની વાત એ છે કે હવે આ સમસ્યા લંડનની શેરીઓ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે લોકો ખૂબ ગુસ્સે ભરાયા છે.
લંડનના હેરો શહેરના લોકો આ સમસ્યાથી ત્રાહિમામ
લંડનના હેરો શહેરમાં રહેતા લોકો આ સમસ્યાથી અતિશય હેરાન છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં એક સ્થાનિક વ્યક્તિ કહેતો જોવા મળે છે કે, હેરોમાં રહેતા લોકો ગુટખા- મસાલા ચાવવા અને પાન થૂંકવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને રેનર્સ લેન અને નોર્થ હેરોના લોકો. પાનમાં ઘણીવાર તમાકુના પાન હોય છે. જેના કારણે ફૂટપાથ, ડસ્ટબીન અને દુકાનોની સામે લોહી જેવા લાલ ડાઘ રહી જાય છે. આનાથી સ્થાનિક લોકો ગુસ્સે થયા છે.
તમાકુના 4000 થી વધુ પેકેટ પણ જપ્ત કર્યા
વાયરલ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, નોર્થ હેરોમાં પાન વેચતી એક નવી દુકાન સામે અરજી દાખલ કરવામાં આવી છે. હેરો કાઉન્સિલનું કહેવું છે કે, પાન થૂંકવું ઘૃણાસ્પદ અને ગંદી આદત છે અને તેની સફાઈ માટે પણ વધુ ખર્ચ થાય છે. કાઉન્સિલે કહ્યું કે માત્ર જુલાઈ મહિનામાં જ 33ને દંડ ફટકારવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી કાર્યવાહીના ભાગ રૂપે ગેરકાયદે તમાકુના 4000 થી વધુ પેકેટ પણ જપ્ત કર્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા
પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક યુઝરે લખ્યું, 'વિઝા આપતી વખતે દાંત તપાસવાનું શરૂ કરો.'
અન્ય એક યુઝરે લખ્યું, 'પાન થૂંકવાથી લંડન લાલ થઈ ગયું'
બીજા યુઝરે કહ્યું, 'પાનની દુકાનોએ તમાકુ વેચવા માટે થોડી જવાબદારી લેવી જોઈએ.'
એક યુઝરે ટિપ્પણીમાં લખ્યું, 'દંડની રકમ વધારો. બીજો કોઈ ઉકેલ નથી.'
જય નામના યુઝરે કહ્યું, 'તમે ભારતમાં 200 વર્ષ વિતાવ્યા છે, પાનના ડાઘ હવે ઘરની સજાવટ જેવા દેખાવા જોઈએ.'
સોશિયલ મીડિયા પ્લેચફોર્મ પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ભારતીય યુઝરે કહ્યું, 'ભારતમાં પણ આ એક મોટી સમસ્યા છે. આપણી ઇમારતોની લિફ્ટ, સીડી અને જાહેર સ્થળો પર પાનના ડાઘ છે. આપણે આવા લોકોને દેશનિકાલ કરી શકતા નથી કારણ કે તેઓ અહીંના નાગરિક છે. પરંતુ તમારે આ લોકોને દેશનિકાલ કરવા જોઈએ. તેમને તમારા દેશને બરબાદ ન થવા દો.'


