ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનો મોટો નિર્ણય, દુનિયાના અનેક દેશોમાં એમ્બેસી બંધ
Israel announces embassy closure : ઈરાન પર ભીષણ હુમલા બાદ આજે શુક્રવારે (13 જૂન) ઈઝરાયલે દુનિયાભરમાં પોતાની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઈઝરાયલે પોતાના નાગરિકોને સતર્ક રહેવાની અને જાહેર સ્થળોએ યહુદી કે ઈઝરાયલી ચિન્હ ન બતાવવા અપીલ કરી છે. જેમાં દૂતાવાસની વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, ઈઝરાયલ હાલ કોઈપણ પ્રકારની કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડશે નહીં. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન કરેલી એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 78 લોકોના માત નીપજ્યા છે, જ્યારે 329થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઈઝરાયલની સરકારે જનતાને કરી અપીલ
ઈઝરાયલની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ સાવચેતી રાખે. તેમજ કોઈપણ દેશમાં પ્રતિકૂળ પ્રવૃત્તિનો સામનો કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે, સ્થાનિક સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ.
ઈઝરાયલ એમ્બેસીને કેટલા દિવસ સુધીમાં બંધ રાખશે, તેને લઈને કોઈને સમયમર્યાદા જણાવી નથી. બીજી તરફ, વિદેશમાં રહેનારા ઈઝરાયલના લોકોને વિદેશ મંત્રાલયને અપડેટ કરવા માટે પોતાના સ્થળની જાણકારી માટે એક ફોર્મ ભરવા પણ કહેવામાં આવ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ઘટનાને લઈને દુનિયાભરમાં ઈઝરાયલ મિશન બંધ રહેશે.
આ પણ વાંચો: ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના PM નેતન્યાહૂએ PM મોદીને કર્યો ફોન, જાણો શું વાતચીત થઈ
20થી વધુ ઈરાની સેનાના વરિષ્ઠ અધિકારીઓના મોત
ઈઝરાયલે ઈરાન પર વિમાન દ્વારા બોમ્બમારો કર્યો, જેમાં ઈઝરાયલે ઉત્તરી ઈરાનના તબ્રીઝ પર 10 અલગ-અલગ સ્થળો બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયલના અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, તેમણે આ એરસ્ટ્રાઈક પહેલા જ હથિયારો અને ડ્રોન ઈરાન નજીક પહોંચાડ્યા હતા અને સમય આવતા તેના દ્વારા હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, ઈઝરાયલના હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ અને એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ સહિત 20 ઈરાની કમાન્ડરના મોત નીપજ્યા હતા.
આ પણ વાંચો: ઈઝરાયલના હુમલામાં 78ના મોત બાદ ભડક્યું ઈરાન, અમેરિકા સાથેની 'પરમાણુ વાર્તા' રદ
ઈરાની વિદેશ મંત્રાલયે શું કહ્યું?
તેહરાન પરના આ હુમલાઓ પછી તરત જ ઈરાને ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા સાથે ચાલી રહેલી પરમાણુ વાટાઘાટોમાંથી પાછળ હટવાની જાહેરાત કરી છે. ઈરાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'આક્રમક અને ઉશ્કેરણીજનક કૃત્ય' પછી કોઈપણ વાતચીતનો આધાર બચ્યો નથી. આ અંગે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, જો ઈરાન સમાધાન કરવા માંગે છે તો તેમની પાસે હજુ પણ બીજી તક છે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોએ આ નિવેદનને તણાવને વધુ ઉશ્કેરનાર ગણાવ્યું છે.