ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના PM નેતન્યાહૂએ PM મોદીને કર્યો ફોન, જાણો શું વાતચીત થઈ
PM Narendra Modi and Israeli PM : ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના 78થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 300થી વધુ ઈજાગ્રસ્ત છે. એવામાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાક્રમ મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે, કે 'મેં ઈઝરાયલના વડાપ્રધાનને વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી.'
નોંધનીય છે કે ઈઝરાયલે ઈરાનના સરકારી તથા સૈન્ય ઠેકાણા પર 5 તબક્કામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈરાનના 20 સિનિયર સૈન્ય અધિકારીઓને મારી નાંખવામાં આવ્યા. એરસ્ટ્રાઈક પહેલા જ ઈઝરાયલે પોતાના ડ્રોન ઈરાનની અંદર પહોંચાડી દીધા હતા.
ઈરાન પાસે હજી સમય છે, ડીલ કરે: ડોનાલ્ડ ટ્રમ્પ
ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, મેં ઈરાનને સમાધાન કરવાની અનેક તકો આપી હતી. મેં તેને આ યુદ્ધ આટલે જ અટકાવી દેવા અનેક વખત, આકરા શબ્દોમાં કહ્યું હતું, તેને સલાહ આપી હતી કે, તે પરમાણુ કરાર મુદ્દે સમાધાન કરે. નહીં તો તમે જે જાણો છો, અપેક્ષા છે, તેના કરતાં પણ વધુ માઠા પરિણામો ભોગવવા પડશે. મોટાપાયે જાનહાનિ થશે. હજી પણ સમય છે, આ માનવસંહાર થતાં રોકી લો. નહીં તો આગામી હુમલાઓ આના કરતાં પણ વધુ ભયાવહ હશે અને તે તબાહી મચાવશે. ઈરાન પાસે હજી પણ તક છે તેનો ન્યુક્લિઅર પ્રોગ્રામ અટકાવી દે અને ઈરાનના સામ્રાજ્યને નષ્ટ થતું બચાવી લે.
ટ્રમ્પે આગળ કહ્યું કે, અમેરિકા દુનિયામાં અત્યારસુધી સૌથી શ્રૈષ્ઠ અને સૌથી ઘાતક ડિફેન્સ હથિયારો બનાવે છે. ઇઝરાયલ પાસે તેનો વિશાળ પ્રમાણમાં ભંડાર છે. આગામી સમયમાં ઇઝરાયલ તેનો ઉપયોગ કરી શકે છે. ન્યૂક્લિઅર ડીલ મુદ્દે ઈરાનના ટોચના નેતાઓ બહાદુરીપૂર્વક વાતો કરતા હતા, પરંતુ તેમને ખબર ન હતી, આગળ શું બનશે. તે તમામ માર્યા ગયા અને આગળ સ્થિતિ વધુ ભયાવહ બનશે. મોટાપ્રમાણમાં માનવસંહાર અને વિનાશ થઈ ચૂક્યો છે. ઈરાન આ વિનાશને હજી પણ અટકાવી શકે છે.
આ પણ વાંચો: બહાદુરીની વાતો કરનારા માર્યા ગયા, હજુ તક છે ડીલ કરી લો: ટ્રમ્પની ઈરાનને ધમકી
ખામેનેઈએ ભીષણ હુમલાની આપી ચીમકી
ટ્રમ્પનું આ નિવેદન ઈરાનના સુપ્રીમો આયતુલ્લા અલી ખામેનેઈની ભીષણ હુમલાની ચીમકી બાદ આવ્યું છે. ખામેનેઈએ ઇઝરાયલના હુમલાની નિંદા કરતાં ધમકી આપી હતી કે, ઇઝરાયલે હવે આ હુમલાના માઠા પરિણામ ભોગવવા પડશે. ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ લોહિયાળ જંગ શરુ કરી છે. હવે ઇઝરાયલે તેના ઘાતક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ઇઝરાયલના હુમલામાં અમારા અનેક કમાન્ડર અને પરમાણુ વિજ્ઞાની માર્યા ગયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. હું ઇચ્છું છું કે, તેમના ઉત્તરાધિકારી અને સહકર્મી કોઈપણ વિલંબ વિના જવાબી કાર્યવાહી શરુ કરે.