World

ઈરાનમાં અનેક જગ્યાઓ પર એકસાથે હુમલા, મહેરાબાદ ઍરપૉર્ટ પર આગ ભભૂકી ઉઠી

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનની રાજધાની તેહરાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના મુખ્ય કોમર્શિયલ ઍરપૉર્ટ મહેરાબાદ પર રાત્રિ દરમિયાન પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે, જેના કારણે આકાશમાં આગના ગોટા અને ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઍરપૉર્ટના રનવે પર એક વિમાન પણ આગની લપેટમાં જોવા મળ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનમાં અનેક જગ્યાઓ પર એકસાથે હુમલા, મહેરાબાદ ઍરપૉર્ટ પર આગ ભભૂકી ઉઠી

Tehran Airport Explosions: ઈરાનની રાજધાની તેહરાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના મુખ્ય કોમર્શિયલ ઍરપૉર્ટ મહેરાબાદ પર રાત્રિ દરમિયાન પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે, જેના કારણે આકાશમાં આગના ગોટા અને ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઍરપૉર્ટના રનવે પર એક વિમાન પણ આગની લપેટમાં જોવા મળ્યું હતું. 

ઈઝરાયલના આક્રમક હુમલા અને તેહરાનમાં તબાહી

ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે ઈરાન માટે 'બિનશરતી શરણાગતિ' સિવાય મંત્રણાના તમામ દરવાજા બંધ છે. તેહરાનના સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓમાં ગત રાત સૌથી વધુ ભયાનક અને વિનાશક રહી હતી.

દુબઈ ઍરપૉર્ટ પર વિમાન સેવાઓ આંશિક રીતે પુનઃસ્થાપિત

આ ઉપરાંત મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ્સમાંના એક એવા દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ(DXB) પર વિમાન સેવાઓ ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આજે (7 માર્ચ) સવારે ઈરાન દ્વારા છોડવામાં આવેલા એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું હતું, જેનો કાટમાળ સીધો ઍરપૉર્ટ પરિસરમાં પડતા સુરક્ષાના કારણોસર કામગીરી અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે ઍરપૉર્ટ પ્રશાસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે કામગીરી આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Explainer: ટ્રમ્પ સામે દુષ્કર્મના આરોપોને લગતી એપસ્ટિન ફાઇલો 'ભૂલ'થી જાહેર નહોતી કરાઈ, જાણો શું છે વિવાદ

મુસાફરો માટે સૂચના: કન્ફર્મેશન વગર ઍરપૉર્ટ ન જવા વિનંતી

ઍરપૉર્ટ મેનેજમેન્ટે મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે જ્યાં સુધી તમારી એરલાઇન ફ્લાઇટ કન્ફર્મ હોવાની પુષ્ટિ ન કરે ત્યાં સુધી ઍરપૉર્ટ તરફ પ્રયાણ ન કરવું, કારણ કે ફ્લાઇટના શેડ્યૂલમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. અગાઉ, ઈરાની ડ્રોનનો કાટમાળ પડતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ સાવચેતીના પગલે ઓપરેશન રોકી દીધું હતું. ઍરપૉર્ટ મેનેજમેન્ટ અને એમિરેટ્સ એરલાઇન(Emirates) પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને સુરક્ષાના તમામ માપદંડોને અનુસરી રહ્યા છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઍરપૉર્ટ પહોંચતા પહેલા સત્તાવાર અપડેટ્સ તપાસી લે.