બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને માન્યતા આપતા ભડક્યું ઈઝરાયલ, નેતન્યાહૂએ કહ્યું- કોઈ નવો દેશ નહીં બનવા દઉં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Benjamin Netanyahu: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઈની રાજ્યને માન્યતા આપવા બદલ બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયા પર 'આતંકવાદને પુરસ્કૃત કરવાનો' આરોપ લગાવ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જોર્ડન નદીના પશ્ચિમમાં કોઈ પેલેસ્ટાઈની રાજ્ય બનવા દેવામાં આવશે નહીં. નેતન્યાહૂએ આ પગલાંને 7 ઑક્ટોબરના નરસંહાર બાદ આતંકવાદને મોટું ઇનામ આપવા જેવું ગણાવ્યું છે અને અમેરિકાથી પાછા ફર્યા બાદ આનો જવાબ આપવાની ધમકી આપી છે.
આતંકને પ્રોત્સાહન: નેતન્યાહૂનો આક્રોશ
ત્રણેય દેશોની સરકારોને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું કે, '7 ઑક્ટોબરના ભયાનક નરસંહાર બાદ પેલેસ્ટાઈની રાજ્યને માન્યતા આપનારા નેતાઓ માટે મારો એક સ્પષ્ટ સંદેશ છે કે તમે આતંકને એક મોટા ઇનામથી પુરસ્કૃત કરી રહ્યા છો અને મારી પાસે તમારા માટે બીજો સંદેશ છે કે આવું કંઈ થવાનું નથી. જોર્ડન નદીના પશ્ચિમમાં કોઈ પેલેસ્ટાઈની રાજ્ય હશે નહીં.'
યહૂદી વસાહતોનું વિસ્તરણ અને પેલેસ્ટાઈની રાજ્યનો વિરોધ
નેતન્યાહૂએ ફરી એકવાર પેલેસ્ટાઈની રાજ્યના ગઠનનો વિરોધ કરતાં કહ્યું કે, 'વર્ષોથી મેં ઘરેલું અને વિદેશી દબાણ છતાં આ આતંકવાદી રાજ્યનું ગઠન થતું અટકાવ્યું છે. અમે આ દૃઢતાપૂર્વક કર્યું છે. આ ઉપરાંત, અમે યહુદીયા અને સામરિયામાં યહૂદી વસાહતોની સંખ્યા બમણી કરી છે અને અમે આ જ માર્ગ પર ચાલતા રહીશું.'
દ્વિ-રાષ્ટ્ર સમાધાનને વેગ: આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ અને વિવાદ
બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા ઔપચારિક રીતે પેલેસ્ટાઈનને માન્યતા આપવાનું આ પગલું, બે-રાજ્ય સમાધાન માટે ગતિને ફરીથી વધારવાના વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રયાસોનો એક ભાગ છે, જોકે આ નિર્ણયની ઈઝરાયલ અને સંયુક્ત રાજ્ય અમેરિકા બંનેએ આકરા શબ્દોમાં ટીકા કરી છે.
ઈઝરાયલના વિદેશ મંત્રીએ આ નિર્ણયને શરમજનક ગણાવ્યો
ઈઝરાયલના વિદેશ મંત્રી ગિડીયન સારએ પણ આ નિર્ણયની નિંદા કરી અને તેને એક ગંભીર ભૂલ ગણાવી. તેમણે કહ્યું, 'દુનિયાના મોટાભાગના દેશોએ પહેલાં પણ પેલેસ્ટાઈની રાજ્યને માન્યતા આપી હતી. આ નિર્ણય પહેલાં પણ ખોટો હતો, પરંતુ જે સરકારોએ હમણાં જ તેને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે, તેઓ અનૈતિક, ધૃણાસ્પદ અને શરમજનક કામ કરી રહ્યા છે.'
સારએ દલીલ કરી કે, 'આવા સમયે જ્યારે ઈઝરાયલ હમાસ અને તેના સહયોગીઓ વિરુદ્ધ સૈન્ય અભિયાનમાં વ્યસ્ત છે, ત્યારે આવી માન્યતા ઇતિહાસમાં એક શરમજનક ઘટના તરીકે નોંધાશે.'
પેલેસ્ટાઈનને માન્યતા: આતંકવાદને પ્રોત્સાહન?
ઈઝરાયલના વિદેશ મંત્રીએ કહ્યું કે, '7 ઑક્ટોબર બાદ જે સરકારોએ આવો નિર્ણય લીધો છે, તે હમાસ માટે એક પુરસ્કાર જેવું અને આતંકવાદને પ્રોત્સાહન આપવા જેવું છે. હાલમાં જ અમેરિકાએ પેલેસ્ટાઈની ઓથોરિટી પર પ્રતિબંધો લગાવ્યા છે, કારણ કે તે દોષિત હુમલાખોરોને ભથ્થાં આપીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે.'
આ પણ વાંચો: 'અમેરિકાની શરતો માની લઈશું તો અર્થતંત્ર જ ડૂબી જશે...' દ.કોરિયાના પ્રમુખનું મોટું નિવેદન
ભવિષ્ય જેરુસલેમમાં નક્કી થશે, લંડન કે પેરિસમાં નહીં
સારએ ભારપૂર્વક જણાવ્યું કે, 'ઈઝરાયલની સાર્વભૌમતાને બાહ્ય દબાણથી નબળી પાડી શકાય નહીં. પેલેસ્ટાઈની રાજ્યની સ્થાપના થશે નહીં, કારણ કે ઈઝરાયલની જનતા તેનો ભારે બહુમતીથી વિરોધ કરે છે. આ એક અવ્યવહારુ વિચાર છે.'
તેમણે કહ્યું કે, 'આપણું ભવિષ્ય લંડન કે પેરિસમાં નહીં, પરંતુ જેરુસલેમમાં નક્કી થશે. અમે એવા પગલાં વિરુદ્ધ રાજદ્વારી સ્તરે મજબૂતીથી લડતા રહીશું, જે ઈઝરાયલ અને તેના ભવિષ્ય માટે ખતરો છે. આપણા દુનિયાભરના મિત્રો, ખાસ કરીને અમેરિકા, આપણી સાથે ઊભા રહેશે. ઈઝરાયલનું અસ્તિત્વ હંમેશા કાયમ રહેશે.'









