'ટ્રમ્પ અને નેતન્યાહૂને જાનથી મારી નાખો...', ઈરાનના ગ્રાન્ડ નેતા આયતુલ્લાહ શિરાજીનો ફતવો
Iran Shia leader Fatwa: ઈરાનના શિયા ધાર્મિક નેતા ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકારીમ શિરાજીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે ફતવો જાહેર કર્યો છે. જેમાં ટ્રમ્પ અને નેતન્યાહૂને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને વિશ્વભરના મુસ્લિમોને બંનેને મારી નાખવાનું કહેવાયું છે. આ ઉપરાંત ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈને ધમકી આપનાર કોઈપણ વ્યક્તિ કે સરકારને અલ્લાહનો દુશ્મન ગણવામાં આવશે. નોંધનીય છે કે, ઈરાનના શિયા નેતાઓ આયતુલ્લા અલી ખામેનેઈને આપવામાં આવેલી ચેતવણીથી ગુસ્સે છે. એટલા માટે આ ફતવો જાહેર કરાયો છે.
ખામેનેઈને કોણે ચેતવણી આપી હતી?
અહેવાલો અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ પરિવાર સાથે બંકરમાં છુપાયેલા છે. તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે જો ઈઝરાયલ અને અમેરિકા હવે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરશે તો તેના પરિણામો ખરાબ આવશે. ઈરાન તેની સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરશે. ખામેનીએ દેશવાસીઓને ઈઝરાયલ પર ઈરાનની જીતની જાહેરાત કરીને ઉજવણી કરવા પણ કહ્યું છે.
લીડર આયતુલ્લા અલી ખામેનેઈની આ ચેતવણી પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને યોગ્ય જવાબ આપ્યો. તેમણે ખામેનેઈને કૃતઘ્ન ગણાવ્યા અને ચેતવણી આપી કે, 'જો ઈરાન ફરીથી પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરશે અથવા વિચારશે તો અમેરિકા પહેલા કરતા વધુ હુમલો કરશે. ઈઝરાયલ અને અમેરિકા બંને જાણે છે કે ખામેનેઈની ક્યાં છુપાયેલા છે.'
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું
ઉલ્લેખનીય છે કે, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ એક સમસ્યા બની રહે છે. ઈઝરાયલ અને અમેરિકા ઈચ્છતા નથી કે ઈરાન પરમાણુ હથિયારો બનાવે, તેથી ઈઝરાયલે 12મી જૂને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને પણ ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા. મિસાઈલ અને ડ્રોન હુમલાઓ સાથે યુદ્ધ લગભગ 12 દિવસ સુધી ચાલુ રહ્યું હતું. 11મા દિવસે અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કરીને તેમને નષ્ટ કરી દીધા હતા. 13મા દિવસે અમેરિકાએ કતાર દ્વારા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું.