World

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી? કહ્યું- શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતાં સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં, પરંતુ સાથે જ અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જોખવાનો પણ ઇન્કાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી? કહ્યું- શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ

Middle East Tensions: મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતાં સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં, પરંતુ સાથે જ અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જોખવાનો પણ ઇન્કાર કર્યો છે.

પડોશી દેશોની માફી માંગી અને મૂકી શરત

અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ વચ્ચે પડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ દુઃખ વ્યક્ત કરીને માફી માંગી હતી. તેમણે પાડોશીઓને આશ્વસ્ત કર્યા હતા કે ઈરાન તરફથી હવે કોઈ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, તેમણે એક કડક શરત પણ મૂકી છે કે જો કોઈ પડોશી દેશની ધરતીનો ઉપયોગ ઈરાન સામે હુમલો કરવા માટે કરવામાં આવશે, તો ઈરાન વળતો પ્રહાર કરવામાં જરાય અચકાશે નહીં.

'અમેરિકા-ઈઝરાયલ સામે શરણાગતિ નહીં'

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ દેશમાં શક્તિ સંતુલન અને ભવિષ્યની વ્યૂહનીતિ અંગે અનેક અટકળો ચાલી રહી છે. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, 'ઈરાન કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ સામે ઝૂકશે નહીં. અમે ઈઝરાયલ કે અમેરિકા સામે ક્યારેય શરણાગતિ સ્વીકારીશું નહીં.' તેમના આ નિવેદનને પ્રાદેશિક તણાવ ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂતી દર્શાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર

હોર્મુઝ સ્ટ્રેટ પર જોખમ

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. વિશ્વના સૌથી મહત્ત્વના ઓઇલ સપ્લાય રૂટ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર યુદ્ધના વાદળો ઘેરાતા ઊર્જા સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. જો આ માર્ગ બંધ થાય અથવા અહીં સંઘર્ષ વધે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડશે.

ઉલ્લેખનીય છે કે, ઈરાની રાષ્ટ્રપતિનું આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે સમગ્ર મિડલ ઈસ્ટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. એક તરફ પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની કોશિશ અને બીજી તરફ ઈઝરાયલ પ્રત્યે આક્રમક વલણ ઈરાનની નવી વિદેશ નીતિના સંકેત આપી રહ્યું છે.