Indian Student Died In US: અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે થઈ છે, તેણે રૂમમેટ સાથે વિવાદ થયો હોવાનું કહેવાય છે. તેલંગાણાના નિઝામુદ્દીનના પરિવારે તેમના મૃતદેહને મેળવવામાં મદદ માટે વિદેશ મંત્રાલયને અપીલ કરી છે. અગાઉ મૃતક મોહમ્મદ નિઝામુદ્દીને જાહેરમાં વંશભેદ અને નોકરીની મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરી હતી.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, મોહમ્મદ નિઝામુદ્દીને ફ્લોરિડામાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કર્યું, પરંતુ ત્યારબાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. લિંક્ડઇન પરની એક પોસ્ટમાં મોહમ્મદ નિઝામુદ્દીને આરોપ લગાવ્યો કે તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેમના પગારમાંથી છેતરપિંડી કરવામાં આવી હતી. વધુમાં, નિઝામુદ્દીને વંશભેદ વિશે એક પોસ્ટ પણ શેર કરી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ, 23 વર્ષથી ત્યાં સ્ટોર ચલાવતા હતા
પોલીસે નિઝામુદ્દીનને ચાર ગોળી મારી હતી
અમેરિકાની પોલીસે મોહમ્મદ નિઝામુદ્દીનને ચાર ગોળી મારી હતી. સાન્ટા ક્લેરા પોલીસના જણાવ્યાનુસાર, છરાબાજી અંગે 911 પર ફોન આવ્યો હતો. પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યા એક માણસ છરી લઈને ઊભો હતો. જ્યારે તેણે સરેન્ડર કરવાનો ઈનકાર કર્યો, ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી. તે માણસનો રૂમમેટ નીચે પડેલો હતો અને તેને ઘણી ઈજાઓ થઈ હતી. આ ઘટના ત્રીજી સપ્ટેમ્બરના રોજ બની હતી.
પરિવારે વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગી
મજલિસ બચાવો તહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લાહ ખાને મૃતક મોહમ્મદ નિઝામુદ્દીનના પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે મૃતકના પિતા મોહમ્મદ હસનુદ્દીન અને અન્ય સંબંધીઓ સાથે વાત કરી. અમજદે વિદેશ મંત્રાલયને પત્ર લખીને મદદ માંગી છે. તેઓ મૃતદેહને ભારત પરત લાવવા માંગે છે. તેમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે.


