Get The App

શી જિનપિંગના દિલ્હી પ્રવાસ પહેલા ભારત તેમના કટ્ટર હરીફની કરશે યજમાની, જાણો ચીન માટે શું છે આડકતરો સંદેશ

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
શી જિનપિંગના દિલ્હી પ્રવાસ પહેલા ભારત તેમના કટ્ટર હરીફની કરશે યજમાની, જાણો ચીન માટે શું છે આડકતરો સંદેશ 1 - image

India To Host Japan PM Sanae Takaichi : ભારતના રાજદ્વારી અને કૂટનીતિક સંબંધો આજે કેટલા મજબૂત અને સચોટ બન્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, બ્રિક્સ (BRICS) સમિટ પહેલા ભારત એક એવા દેશની યજમાની કરવા જઈ રહ્યું છે, જેને ચીન બિલકુલ પસંદ નથી કરતું. જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી (Sanae Takaichi) જુલાઈ મહિનામાં ભારતની મુલાકાતે આવવાના છે. 1 થી 3 જુલાઈ દરમિયાન પ્રસ્તાવિત આ તેમની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતમાં સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્સ, સંરક્ષણ સહયોગ, વેપાર અને વ્યૂહાત્મક કનેક્ટિવિટી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

ચીનના રાષ્ટ્રપતિના આગમન પહેલા જાપાનની મુલાકાત

આ પ્રવાસ એટલા માટે વધુ ચર્ચામાં છે, કારણ કે, તે BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત આગમન ના ઠીક પહેલા યોજાઈ રહ્યો છે. જાપાન એક એવો દેશ છે, જે લાંબા સમયથી પ્રાદેશિક સ્તરે ચીનની આક્રમક નીતિઓનો મજબૂતાઈથી સામનો કરી રહ્યો છે, અને તે હંમેશા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર રહ્યો છે. ભારત અને જાપાન બંને 'ક્વાડ' (QUAD)ના સભ્ય છે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વિસ્તારવાદી નીતિઓને સંતુલિત કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો : લાદેનને શરણ આપનારા પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ, પોતાના જ સાંસદ નારાજ

શી જિનપિંગના દિલ્હી પ્રવાસ પહેલા ભારત તેમના કટ્ટર હરીફની કરશે યજમાની, જાણો ચીન માટે શું છે આડકતરો સંદેશ 2 - image

ચીનને તેની જ ભાષામાં જવાબ

ભૂતકાળમાં એવું ઘણી વાર જોવા મળ્યું છે કે, જ્યારે પણ ભારત-ચીન વચ્ચે કોઈ મોટી બેઠક થવાની હોય, ત્યારે ચીન સરહદ (LAC) પર તણાવ વધારે છે, અથવા ભારતના પડોશી દેશોને ઉશ્કેરે છે. હવે ભારત કૂટનીતિક રીતે વળતો પ્રહાર કરી રહ્યું છે. બ્રિક્સ સમિટ પહેલા જાપાનના વડાપ્રધાનને આમંત્રિત કરીને ભારત બેઇજિંગને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે, તે પોતાની વિદેશ નીતિ માત્ર કોઈ એક દેશ પર કેન્દ્રિત રાખશે નહીં. સપ્લાય ચેઈન, સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ક્ષેત્રે ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત જાપાન જેવી લોકશાહી શક્તિઓને પ્રાથમિકતા આપી રહ્યું છે.

આ પગલું દર્શાવે છે કે, ભારત કોઈ સીધો સંઘર્ષ ઈચ્છતું નથી, પરંતુ ચીનને નજરઅંદાજ કર્યા વિના પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા માટે સંપૂર્ણ સક્ષમ છે.