| (image - ians) |
India Backs Iran at UNHRC: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના 39મા વિશેષ સત્રમાં વૈશ્વિક સ્તરે એક મોટી ભૌગોલિક-રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે સખત વિરોધ કર્યો છે. ભારતે આ વખતે માત્ર પ્રસ્તાવથી દૂરી નથી બનાવી, પરંતુ તેની વિરુદ્ધમાં 'NO' વોટ આપીને અમેરિકા અને યુરોપિયન યુનિયનને ચોંકાવી દીધા છે.
શું હતો વિવાદ અને પ્રસ્તાવ?
આ મતદાન પ્રસ્તાવ સંખ્યા A/HRC/S-39/L.1 પર થયું હતું. જેનો હેતુ ઈરાનમાં ડિસેમ્બર 2025થી શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો પર ઈરાન સરકારની કાર્યવાહીની નિંદા કરવાનો અને તેની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાનો હતો. UN હાઈ કમિશનર વોલ્કર તુર્કે આને 'ક્રૂર દમન' ગણાવી તપાસની માંગ કરી હતી.
વોટિંગનું પરિણામ: બે ધ્રુવોમાં વહેંચાયેલું વિશ્વ
UNHRCમાં થયેલા આ મતદાનના પરિણામોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ વિભાજન દર્શાવ્યું છે. જેમાં ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે, મેક્સિકો અને દક્ષિણ કોરિયા જેવા 25 પશ્ચિમી અને અન્ય દેશોએ પ્રસ્તાવની પક્ષમાં (YES) વોટ આપ્યો હતો. તેની સામે ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પ્રસ્તાવનો સખત વિરોધ કરતા વિરોધમાં (NO) મતદાન કર્યું હતું. જ્યારે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા 14 દેશો આ પ્રક્રિયાથી અલિપ્ત રહીને તટસ્થ (ABSTAIN) રહ્યા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં અમેરિકાનો નવો દાવ ભારત માટે માથાનો દુઃખાવો, પાકિસ્તાન સમર્થક પાર્ટીને ટેકો
ભારતના 'NO' વોટના 4 મોટા સંદેશ
સામાન્ય રીતે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર આવા મુદ્દાઓ પર 'તટસ્થ' રહેવાની નીતિ અપનાવતું હોય છે, પરંતુ આ વખતે ઈરાનના મુદ્દે સીધો વિરોધ કરવા પાછળ ભારતની મજબૂત રણનીતિ રહેલી છે. ભારતે આ પગલા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે પશ્ચિમી દેશોના કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણય લેશે. ખાસ કરીને ઈરાન સાથેના ભારતના ઐતિહાસિક સંબંધો અને 'ચાબહાર પોર્ટ' જેવી વ્યૂહાત્મક પરિયોજનાઓ ભારત માટે અત્યંત મહત્ત્વની છે.
આ ઉપરાંત, ભારત અને ચીન જેવા દેશોનું માનવું છે કે માનવાધિકારના બહાને કોઈ પણ દેશની આંતરિક બાબતોમાં વિદેશી તપાસ કે હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં. આ મતદાન દરમિયાન આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત, ચીન અને પાકિસ્તાન એક જ પક્ષમાં ઊભેલા જોવા મળ્યા હતા, જે વૈશ્વિક રાજકારણની એક અત્યંત દુર્લભ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.
મોતનો આંકડો અને વિવાદ
ઈરાનમાં થયેલી હિંસામાં જાનહાનિના આંકડાઓને લઈને વૈશ્વિક સ્તરે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ઈરાન સરકારે આશરે 3,000 લોકોના મોતની સત્તાવાર કબૂલાત કરી છે, પરંતુ સાથે જ આ પ્રસ્તાવને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધો છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓનો અંદાજ છે કે મૃત્યુઆંક 5,000થી વધુ હોઈ શકે છે. જ્યારે માનવાધિકાર સંગઠન HRANA એ અત્યાર સુધીમાં 4,519 મૃત્યુની પુષ્ટિ કરી છે અને એવો દાવો પણ કર્યો છે કે અન્ય 9,000થી વધુ શંકાસ્પદ મોતના કિસ્સાઓમાં હજુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં મોટો હુમલો, લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
જોકે, બહુમતીને કારણે પ્રસ્તાવ પસાર થઈ ગયો છે, પરંતુ ભારત અને ચીન જેવા મોટા દેશોના વિરોધને કારણે પશ્ચિમી દેશોની 'નૈતિક જીત' નબળી પડી છે. વિશ્વ હવે ભારતને એક એવા દેશ તરીકે જોઈ રહ્યું છે જે ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરી રહ્યું છે અને પોતાના મિત્ર દેશોની પડખે ઊભું રહેવાની હિંમત ધરાવે છે.


