'ભારત સાથે સરહદ વિવાદ જટિલ, ઉકેલવામાં સમય લાગશે' રાજનાથ સિંહની મુલાકાત બાદ બોલ્યું ચીન
Image: 'X', @rajnathsingh |
India-China Relation : રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગત 26 જૂને ચિંગદાઓમાં ચીની સમક્ષ ડોંગ જુન સાથે બેઠકમાં પ્રસ્તાવ મુક્યો હતો કે, ભારત અને ચીને સરહદ પર તણાવ ઘટાડવા અને સીમાઓના સીમાંકનની હાલની પ્રણાલીને પુનર્જીવિત કરવા માટે પગલાં લઈને એક સુસ્થાપિત માળખા હેઠળ 'જટિલ મુદ્દાઓ' ઉકેલવા જોઈએ. જેને લઈને આજે (30 જૂન) ચીને જણાવ્યું કે, ભારત સાથે સરહદ વિવાદ જટિલ છે, જેને ઉકેલવામાં સમય લાગશે. પરંતુ આ સાથે સરહદોના સીમાંકન અંગે ચર્ચા કરવા અને શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારત-ચીન બોર્ડર વિવાદ થશે ખત્મ
રાજનાથ સિંહ અને ડોંગે ચિંગદાઓમાં શંધાઈ સહયોગ સંગઠન સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. જેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સ્થિરતા રાખવા વિશે વાતચીત કરી હતી. જ્યારે રક્ષા મંત્રીની ટિપ્પણીને લઈને ચીનની પ્રતિક્રિયા પૂછવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ કહ્યું કે, 'ચીન અને ભારતે સરહદ સાથે સંકળાયેલા મુદ્દે વિશેષ ટીની સ્થાપના કરી છે અને ચીન-ભારત બોર્ડર સંબંધિત મુદ્દાઓનું સમાધાન લાવવા માટે રાજકીય માપદંડો અને માર્ગદર્શક સિદ્ધાંતો પર સહમતિ દાખવામાં આવી છે. બંને પક્ષે વિભિન્ન સ્તરે રાજનૈતિક અને સૈન્ય સંદેશાવ્યવહાર વ્યવસ્થા છે. '
સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા
વિશેષ પ્રતિનિધિ સ્તરની 23 રાઉન્ડની વાટાઘાટો છતાં સરહદ મુદ્દાના ઉકેલમાં વિલંબ વિશે પૂછવામાં આવતા નિંગે કહ્યું હતું કે, 'સરહદનો પ્રશ્ન જટિલ છે અને તેને ઉકેલવામાં સમય લાગે છે. સકારાત્મક પાસું એ છે કે, બંને દેશોએ પહેલાથી જ વિવિધ સ્તરે મિકેનિઝમ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. અમને આશા છે કે, ભારત આ દિશામાં ચીન સાથે કામ કરશે, સંબંધિત મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખશે અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે."
તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ડિસેમ્બરમાં વિશેષ પ્રતિનિધિની 23મી બેઠક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થઈ હતી. 2020માં ભારત-ચીન સરહદી વિસ્તારના પશ્ચિમી ભાગોમાં અથડામણ પછી આ વિશેષ પ્રતિનિધિઓની આ પહેલી બેઠક મળી હતી. આ ઉપરાંત, ગત વર્ષે ઓક્ટોબરમાં પૂર્વી લદ્દાખમાં LAC પર લશ્કરી ગતિરોધને સમાપ્ત કરવા માટે ભારત અને ચીન સંમત થયા પછી, નવી દિલ્હી અને બીજિંગ વચ્ચે સંબંધોને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે રાજનાથ સિંહ અને ડોંગ વચ્ચેની મુલાકાત થઈ હતી.