ટ્રમ્પની ધમકી બાદ મોદી સરકારે અમેરિકાને આપ્યો સણસણતો જવાબ, પહેલાં દેશ...
Updated: Apr 7th, 2020
નવી દિલ્હી, તા. 7 એપ્રિલ 2020, મંગળવાર
કોરોના વાયરસની મહામારીએ આખું વિશ્વ ચિંતામાં ધકેલાયેલું છે. કોરોનાએ તેનું વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ મહામારીમાં ઝઝૂમી રહેલા અમેરિકાએ મહાસંકટ વચ્ચે ભારત પાસેથી મદદ માગી છે. તો સાથએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ધમકીભર્યા ઉચ્ચારણોનો ઉપયોગ પણ કર્યો હતો. હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન દવા અંગેના વિવાદની વચ્ચે, ભારતીય વિદેશ મંત્રાલયે હવે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ દવાઓની જરૂરિયાતો અને સ્ટોકની ભારતીય જરૂરિયાત બાદ વધારાની દવાઓનો સ્ટોક હશે તે જ સૌથી વધુ અસરગ્રસ્ત દેશોને મદદ કરવાનું નક્કી કર્યું છે.
ટ્રમ્પની ધમકી બાદ મોદી સરકારે આપ્યો અમેરિકાને જવાબ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘અમારી પ્રાથમિકતા એ છે કે દેશમાં દવાઓનો મોટો સ્ટોક આવે જેથી આપણા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે. આને લીધે, ઘણી દવાઓ પર થોડા સમય સુધી નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સતત નવી મુશ્કેલીઓને જોતા સરકારે કેટલીક દવાઓના નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે.
પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનને લઈને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનને લઈને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, એકવાર તેમનો ભારતમાં મોટો સ્ટોક થઈ જાય, ત્યારે તે આધારે કંપનીઓ નિર્ણય લઈ શકે છે.દુનિયાના અનેક દેશો દ્વારા કરાઈ રહેલી માંગ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મહાસંકટના સમયમાં અમે વિશ્વ સાથે મળીને લડવાની અપેક્ષા રાખીએ છીએ. આપણે પણ આ તરફ પ્રયાણ કર્યું છે, જેનું ઉદાહરણ એ છે કે આપણે કેટલાય દેશોમાંથી જુદા જુદા દેશોના નાગરિકોને કેવી રીતે બચાવ્યા છે.
ભારત દવાઓના સપ્લાયને મંજૂરી આપતું નથી: ટ્રમ્પ
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતે પેરાસીટામોલ અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનું ધ્યાન રાખવું પડશે કારણ કે કેટલાક પડોશી દેશો સંપૂર્ણ રીતે આપણા પર નિર્ભર છે. આવા કિસ્સાઓમાં, તેમને આ દવાઓની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ હોય તેવા દેશોમાં આવશ્યક દવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ સ્થિતિમાં, આ પરિસ્થિતિને કોઈપણ રીતે રાજકીય રંગ ના આપશો. મંગળવાર સવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે જો ભારતે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન સપ્લાય કરવાનું શરૂ ન કર્યું હોત તો તેમણે આકરા પ્રત્યાઘાત આપ્યા હોત. આ પછી સ્ટેટ ડિપાર્ટમેન્ટે નિવેદન જારી કરવું પડ્યું. ગઈકાલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાતચીત થઈ હતી.