Hormuz Strait: હોર્મુઝ સ્ટ્રેટમાં બે ભારતીય જહાજો પર થયેલા હુમલા બાદ વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. જહાજો પર હુમલા બાદ ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથઅલીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં વિદેશ સચિવ સાથે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિદેશ સચિવે જણાવ્યું કે, ઈરાનના રાજદૂત સમક્ષ બે ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર થયેલા ફાયરિંગની ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે.
આ ઘટનાએ ચિંતા ઉભી કરી: વિદેશ મંત્રાલય
રાજદૂત મોહમ્મદ ફથઅલીને યાદ અપાવવામાં આવ્યું હતું કે ઈરાન ભારત મર્ચન્ટ શિપિંગ અને નાવિકોની સુરક્ષાને કેટલું મહત્વ આપે છે. આ પહેલા પણ ઈરાને ભારત જનારા અનેક જહાજોને સુરક્ષિત રસ્તો આપ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે પરંતુ આ વખતે બનેલી ઘટનાએ ચિંતા ઉભી કરી છે. તેમણે રાજદૂતને ભારતના વિચારો ઈરાની સત્તાવાળાઓ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.
સંદેશો ઈરાની સત્તાધીશોને પહોંચાડવા ખાતરી મળી
સાથે જ, વહેલી તકે ભારત તરફ આવતા જહાજો માટે માર્ગ સુવિધા ફરી શરૂ કરવા જણાવ્યું છે. આ અંગે ઈરાનના રાજદૂતે આ વિચારોને ઈરાની સત્તાવાળાઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. ભારત આ મામલે ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.
ઈરાની નેવીએ બે ભારતીય જહાજો પર કર્યું હતું ફાયરિંગ
મહત્વનું છે કે આજે શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે વેપારી જહાજો પર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગ ઈરાની નેવી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બે ભારતીય જહાજો પર ગોળીબાર થયો હતો. જે બાદ ભારતીય વિદેશ મંત્રાલયમાં ઈરાની રાજદૂતને સમન્સ પાઠવવામાં આવ્યા છે. સાથે જ ભારતીય ટેન્કર પર હુમલાનો વિરોધ વ્યક્ત કરતો સંદેશ આપ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય જહાજ પર આ હુમલો ઓમાન પાસે થયો હતો. જો કે ભારતના કડક વલણ બાદ ઈરાન તરફથી ફરીથી કોઈ પણ પ્રકારના હુમલાની વાત સામે આવી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ સૌથી મહત્વનો રસ્તો, ઈરાન પાસેથી આશા
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે. કહેવાય છે કે અહીંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ પસાર થાય છે. ભારત જેવા દેશો, જેઓ ખાડી ક્ષેત્રમાંથી તેલની આયાત કરે છે, તેઓ આ માર્ગ પર ઘણા નિર્ભર છે. આવી સ્થિતિમાં અહીં કોઈપણ પ્રકારનો તણાવ સીધો ભારતની ઊર્જા સુરક્ષા પર અસર કરી શકે છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના જહાજો માટે સુરક્ષિત અવરજવર ઈચ્છે છે. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે ઈરાન ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય કરશે અને ભારતીય જહાજો માટે સુરક્ષિત રસ્તો સુનિશ્ચિત કરશે. હાલ ભારત આગળની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે.


