Gaza Crisis: યુદ્ધની ભયાનક ભયાનકતા સહન કર્યા પછી, ગાઝા હવે એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. ચક્રવાત બાયરનને કારણે ફરી એકવાર લોકો બેઘર થઈ ગયા છે. ઈઝરાયલી હુમલા પછી ટેન્ટ અને ખંડેરોમાં રહેતા લોકોને વાવાઝોડાં પછી ઠંડી સહન કરવી મુશ્કેલ બની રહી છે. ભારે વરસાદ, પૂર, ઠંડા પવનો અને કરા પડવાથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. અહેવાલો અનુસાર, આ તોફાનને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત નિપજ્યા છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ '50% ટેરિફ ખતમ કરો': ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઊઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ
ગાઝામાં વાવાઝોડાનો માર!
વાવાઝોડાને કારણે મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે તંબુઓમાં પાણી ભરાઈ ગયા. લોકોને સૂકા સ્થળોની શોધમાં તેમના ટેન્ટ છોડવાની ફરજ પડી. ઠંડી તેમની પરીક્ષા લઈ રહી છે. એવામાં ઈઝરાયલી પ્રતિબંધોના કારણે ગાઝામાં જીવન જરૂરિયાતનો સામાન પણ પહોંચી નથી રહ્યો.
ત્રણ બાળકોના મોત
ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ જણાવ્યું હતું કે, ઠંડીના કારણે ઓછામાં ઓછા ત્રણ બાળકોના મોત થયા છે. અલ શિફા હોસ્પિટલે મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, અલ મસરી 9 વર્ષનો હતો અને અલ ખ્વાજા ફક્ત થોડા મહિનાનો હતો. વળી, નાસર હોસ્પિટલે કહ્યું હતું કે, 8 મહિનાના અબ ઝહરનું ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. ઉત્તર ગાઝામાં એક દિવાલ ધરાશાયી થતાં છ લોકોના મોત નિપજ્યા હતા.
નોંધનીય છે કે, બાયરન એક વાવાઝોડું છે જે મધ્ય ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવ્યું છે. આ વાવાઝોડું ગરમ પવનો અને ભેજથી બને છે. આ વાવાઝોડાએ ઈઝરાયલ, લેબનોન અને દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી છે, જેના કારણે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે.


