Israeli-Gaza Conflict: ગાઝામાં 10મી ઓક્ટોબરથી યુદ્ધવિરામ અમલમાં હોવા છતાં, પેલેસ્ટિનિયનોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શનિવારે (29મી નવેમ્બર) રફાહમાં થયેલી કાર્યવાહીમાં ઈઝરાયલની સેનાએ હમાસના નવ લડાકુઓને ઠાર માર્યા હતા, જ્યારે અન્ય સ્થળોએ થયેલા ગોળીબારમાં બે બાળકો માર્યા ગયા હતા. આ ઉપરાંત બોમ્બથી નષ્ટ થયેલી ઈમારતોના કાટમાળમાંથી પણ અનેક મૃતદેહો મળી આવ્યા છે, જેના કારણે યુદ્ધવિરામની અસરકારકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ગાઝામાં મૃત્યુઆંક 70,100ને પાર
ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, આ યુદ્ધમાં મૃત્યુઆંક વધીને 70,100 થઈ ગયો છે. 10મી ઓક્ટોબરથી યુદ્ધવિરામ લાગુ થયા બાદ ઈઝરાયલી ગોળીબારમાં અત્યાર સુધીમાં 354 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. છેલ્લા 48 કલાકમાં ગાઝા પટ્ટીની હોસ્પિટલોમાં બે મૃતદેહો આવ્યા છે, જેમાંથી એક કાટમાળ નીચેથી મળી આવ્યો છે. યુદ્ધવિરામ હોવા છતાં પેલેસ્ટિનિયનમાં માનવતાવાદી સંકટમાં છે અને કાટમાળમાં મૃતદેહોની શોધ ચાલુ છે.
આ પણ વાંચો: શ્રીલંકામાં તબાહી બાદ દિતવાહ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં એલર્ટ, 56 ફ્લાઈટ રદ, વરસાદ શરૂ
યુદ્ધની શરૂઆત અને બંધકોની અદલાબદલી
ગાઝા યુદ્ધની શરૂઆત સાતમી ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર કરેલા હુમલાથી થઈ હતી. હમાસના હુમલામાં 1,221 ઈઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા અને 251 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. હમાસે અત્યાર સુધીમાં તમામ જીવિત બંધકોને મુક્ત કર્યા છે અને 26 મૃત બંધકોના અવશેષો પરત કર્યા છે. બદલામાં, ઈઝરાયલે તેની કસ્ટડીમાં રહેલા આશરે 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે.
યુદ્ધવિરામ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના હેઠળ આ વર્ષે 10મી ઓક્ટોબરના રોજ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં આ યુદ્ધવિરામ કેટલો સમય ટકશે તે એક મોટો પ્રશ્ન છે.


