- ચેન્નઈમાં 56 ફ્લાઈટ રદ, ટ્રેનોના ટાઈમટેબલ બદલાયા, 6,000 રાહત છાવણી તૈયાર
- તમિલનાડુમાં ભારે વરસાદથી એક લાખ એકરમાં ડાંગર અને અન્ય પાકને ભારે નુકસાન
Ditwah Strom news : બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ ચક્રવાત શનિવારે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી તમિલનાડુના દરિયા કિનારે રવિવારની વહેલી સવારે ત્રાટક્યું હતું. શ્રીલંકામાં દિતવાહ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનથી 150થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ચક્રવાત ભારત પર ત્રાટકે તે પહેલાં તેની અસર હેઠળ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને તિવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટ રદ કરાઈ હતી અને અનેક જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશની સરકારોએ કહ્યું કે તેઓ કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
દિતવાહ ચક્રવાતના કારણે તમિલનાડુના રામનાથપુરમ અને નાગપટ્ટિનામ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને પગલે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વેધરણ્યમ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે અંદાજે 9000 એકરમાં ફેલાયેલા મીઠાના ખેતર પાણીમાં ડૂબી ગયા હતા, જેનાથી ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે. આ સિવાય એક લાખ એકરમાં ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું છે અને અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે.
ચક્રવાત દિતવાહનો સામનો કરવા માટે રાજ્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ સહિત 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરાઈ છે. તમિલનાડુમાં લગભગ 6000 રાહત શિબિર બનાવાયા છે. જોકે, હજુ સુધી બહુ ઓછી સંખ્યામાં લોકોનું ત્યાં સ્થળાંતર કરાયું છે. ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં હવાઈ અને રેલવે સેવાઓ પર અસર થઈ છે. ચેન્નઈ એરપોર્ટ પર 54 ફ્લાઈટ રદ કરાઈ છે જ્યારે સધર્ન રેલવેએ તેની અનેક ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કર્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિતવાહ ચક્રવાત તમિલનાડુના નાગપટ્ટિનામ જિલ્લામાં વેધરણ્યમના કાંઠે કેન્દ્રીત થશે. ચેન્નઈ અને ચેંગલપટ્ટુ સહિત આજુબાજુના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને સમુદ્રથી દૂર રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવધાની રાખવા ચેતવણી આપી છે.
વિભાગે કહ્યું કે, ચક્રવાત દિતવાહ પ્રતિ કલાક આઠ કિ.મી.ની ગતિએ તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે, જે 30 નવેમ્બરને રવિવારની સવારે ભારતના દક્ષિણકાંઠા પર ત્રાટકશે, જેની સૌથી વધુ અસર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશ પર થશે. આંધ્ર પ્રદેશમાં 30 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ પડશે.
તમિલનાડુના મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી રામચંદ્રને કહ્યું કે, દિતવાહ ચક્રવાત ત્રાટકે તે પહેલાં જ રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે પાટનગર ચેન્નઈ સહિત અનેક શહેરો અને જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે તેવા વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, નાગપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર અને ચેન્નઈ સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરાઈ છે.


