શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ, ભ્રષ્ટાચારના આરોપમાં પૂછપરછ બાદ એક્શન
Former Sri Lankan President Ranil Wickremesinghe arrested: શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર સપ્ટેમ્બર 2023માં બ્રિટિશ યુનિવર્સિટીમાં તેમની પત્નીના સન્માનમાં આયોજિત સમારોહમાં હાજરી આપવા માટે લંડનની તેમની યાત્રા અંગે પૂછપરછ કર્યા બાદ વિક્રમસિંઘેની ધરપકડ કરવામાં આવી હતી.
જાણો શું છે મામલો
એક અધિકારીએ જણાવ્યું હતું કે વિક્રમસિંઘેને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમના પર દેશના સંસાધનોનો ઉપયોગ વ્યક્તિગત હેતુઓ માટે કરવાનો આરોપ મૂકાયો છે. રાનિલ વિક્રમસિંઘે 2023માં હવાનાથી પરત ફરતી વખતે લંડનમાં રોકાયા હતા, જ્યાં તેમણે G-77 સમિટમાં હાજરી આપી હતી. વિક્રમસિંઘે અને તેમની પત્ની મૈત્રીએ વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીમાં એક સમારોહમાં હાજરી આપી હતી. વિક્રમસિંઘેએ કહ્યું હતું કે તેમની પત્નીએ તેમની યાત્રાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો અને તેમાં સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
પોલીસે મૂક્યો આરોપ
પોલીસે આરોપ લગાવ્યો હતો કે વિક્રમસિંઘેએ વ્યક્તિગત યાત્રા માટે સરકારી નાણાંનો ઉપયોગ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે રાનિલ વિક્રમસિંઘેના બોડીગાર્ડને પણ સરકારી તિજોરીમાંથી પગાર મળતો હતો.