કંઈક મોટું થવાનું છે....' ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને દુનિયાભરમાં ચર્ચા જગાવી, કોની તરફ ઇશારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ટૂંકસમયમાં જ થંભી જશે. મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, હું બધું જ જોઈ રહ્યો છું, આ મુદ્દે બંને દેશોના વડા પુતિન અને ઝેલેન્સ્કી સાથે વાત ચાલી રહી છે. કંઈક થવાનું છે, પરંતુ લોકો તેના માટે તૈયાર નથી. તેમ છતાં કંઈક થવાનું છે અને અમે એવું કંઈક કરવા જઈ રહ્યા છે.
ટ્રમ્પ ઘણા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ કરાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં જ બંને દેશોના પ્રમુખ સાથે આ સંદર્ભે બેઠક કરી હતી. જ્યારે બીજી બાજુ રશિયાએ યુક્રેન પર હુમલા વધાર્યા છે. હાલમાં જ યુક્રેન પર કરેલા હુમલામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રશિયા સરળતાથી માની જશે, પણ...
ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ફરી એકવાર દાવો કર્યો છે કે, 'મને લાગતું હતું કે, રશિયા સરળતાથી માની જશે. પરંતુ એવું થયું નહીં. પણ હવે લાગે છે કે, કંઈક થવાનું છે.' ટ્રમ્પે ચીનની વિક્ટ્રી પરેડમાં પુતિનની હાજરી પર ટિપ્પણી કરતાં કહ્યું કે, 'મને ખબર હતી કે પુતિન, જિનપિંગ અને કિમ જોંગ એક મંચ પર એકઠા થશે. મને ખબર છે, તેઓ શા માટે આવું કરી રહ્યા છે. હું બધું જોઈ રહ્યો છું. મારા ત્રણેય સાથે સારા સંબંધ છે. આગામી એકથી બે સપ્તાહમાં તમને ખબર પડી જશે કે, તેઓ કેટલા સારા છે.'
આ પણ વાંચોઃ 250 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમેરિકાની વસતી ઘટશે, ટ્રમ્પની નીતિને કારણે લાગશે મોટો ઝટકો
ટ્રમ્પે પોતાના વખાણ કર્યા
ટ્રમ્પ પોતાની ટેરિફ નીતિ સહિત અનેક નિર્ણયો પર ટીકાઓનો ભોગ બન્યા છે. ચારેકોર તેમના પર ટીકા થઈ રહી છે. આ ટીકાઓ વચ્ચે ટ્રમ્પે પોતાના વખાણ કરતાં કહ્યું કે, હું ધીરજ રાખવા માગું છું. હું સામે વાળાને તક આપવા માગું છું કે, તેઓ આવે અને ઓન ટેબલ વાત કરે. મેં વિશ્વમાં 6થી 7 યુદ્ધ અટકાવ્યા છે. હું નોબલ પ્રાઇઝનો અધિકારી છું. નોંધનીય છે, ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ-ઈરાન, રવાંડા-કોંગો, અર્મેનિયા-અઝરબૈજાન, થાઇલૅન્ડ-કંબોડિયા, ભારત-પાકિસ્તાન, મિસ્ર-ઈથિયોપિયા અને સર્બિયા-કોસોવો વિશે વાત કરી રહ્યા છે. આ દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું.
ટ્રમ્પે આ દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરી હોવાનો દાવો કરતાં વધુમાં કહ્યું કે, આ દેશો માટે યુદ્ધ જ એક માર્ગ બની ગયો હતો, તેઓ શાંતિ ભૂલી ગયા હતા. મેં મધ્યસ્થી કરી તેમને સમજાવ્યા અને યુદ્ધ થંભી ગયું. હું નોબલ પુરસ્કાર માગી રહ્યો નથી. હું માત્ર યુદ્ધ રોકવા માગું છું. મને વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની કોઈ ઇચ્છા નથી. નોંધનીય છે. આ વર્ષે નોબલ સન્માન વિજેતાઓના નામ આગામી મહિને જાહેર થવાના છે.









