World

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું, કહ્યું - જે મદદ કરશે એને છોડીશું નહીં

By GS TEAM
18 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર, 2025ના રોજ 'એન્ટિફા'ને મુખ્ય આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ જાહેરાત તેમણે તેમના નજીકના સહયોગી અને રાજકીય કાર્યકર ચાર્લી કિર્કની હત્યાના થોડા દિવસો બાદ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું, કહ્યું - જે મદદ કરશે એને છોડીશું નહીં

Antifa Terrorist Organisation: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર, 2025ના રોજ 'એન્ટિફા'ને મુખ્ય આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ જાહેરાત તેમણે તેમના નજીકના સહયોગી અને રાજકીય કાર્યકર ચાર્લી કિર્કની હત્યાના થોડા દિવસો બાદ કરી.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું હતું કે, 'મને મારા તમામ અમેરિકન દેશભક્તોને એ જણાવતા આનંદ થાય છે કે હું 'ANTIFA'ને એક બિમાર, ખતરનાક અને કટ્ટરપંથી ડાબેરી આફત માનું છું અને તેથી તેને એક મુખ્ય આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરી રહ્યો છું.' તેમણે ચેતવણી આપી હતી કે 'એન્ટિફા'ને આર્થિક મદદ કરનારાઓ સામે ઉચ્ચ સ્તરીય તપાસ થશે અને કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં.


ચાર્લી કિર્કનું નામ લઈને સ્ટીફન મિલરે શું કહ્યું?

'એન્ટિફા' (એન્ટિ-ફાસિસ્ટ) એ ડાબેરી જૂથોનું એક છૂટુંછવાયું નેટવર્ક છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે ચાર્લી કિર્કે તેમને મોકલેલા છેલ્લા મેસેજમાં હિંસા ફેલાવનારા ડાબેરી જૂથો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. મિલરે વચન આપ્યું કે ફેડરલ સરકાર તેને ખતમ કરવા માટે દરેક ઉપલબ્ધ સાધનનો ઉપયોગ કરશે. અગાઉ, મે 2020માં પણ ડોનાલ્ડ ટ્રમ્પે 'એન્ટિફા' આંદોલનને આતંકવાદી જૂથ જાહેર કરવાની વાત કહી હતી.

'એન્ટિફા' શું છે?

'સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' (CSIS) નામની એક સંસ્થા 'એન્ટિફા'ને ડાબેરી ઉગ્રવાદીઓનું એક નેટવર્ક ગણાવે છે, જે ફાસીવાદી, જાતિવાદી કે અન્ય કોઈ પણ રીતે જમણેરી ઉગ્રવાદીઓનો વિરોધ કરે છે. CSIS અનુસાર, 'એન્ટિફા' દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રતીકોમાંથી એક 1917ની રશિયન ક્રાંતિનો લાલ ધ્વજ અને 19મી સદીના અરાજકતાવાદીઓનો કાળો ધ્વજ છે.

આ પણ વાંચો: અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં 3 પોલીસકર્મીની હત્યા, શંકાસ્પદનું એન્કાઉન્ટર

'એન્ટિફા' જૂથો ઘણીવાર જમણેરી સભાઓ અને રેલીઓને ખોરવી નાખવા માટે વિરોધ પ્રદર્શનોનું આયોજન કરે છે. એવું કહેવાય છે કે તેઓ પોતાની ગતિવિધિઓ સોશિયલ મીડિયા, એનક્રિપ્ટેડ પીઅર-ટુ-પીઅર નેટવર્ક અને સિગ્નલ જેવી મેસેજિંગ સેવાઓ દ્વારા આયોજિત કરે છે.