દિલ્હી બ્લાસ્ટમાં પાકિસ્તાનનો હાથ? પાકિસ્તાની નેતાએ વિધાનસભામાં કહ્યું- અમારા જવાનોએ કરી બતાવ્યું

Red Fort Blast Pakistan Link: 10મી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લાની બહાર થયેલા કાર બ્લાસ્ટ અંગે પાકિસ્તાન તરફથી એક મોટું અને ચોંકાવનારું નિવેદન બહાર આવ્યું છે. આ નિવેદનમાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે દાવો કર્યો છે કે આ વિસ્ફોટમાં પાકિસ્તાન સીધું જ સામેલ હતું. આ ધમાકાના કારણે 15 લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાની નેતાએ વિધાનસભામાં કહ્યું- અમારા જવાનોએ કરી બતાવ્યું
PoK વિધાનસભામાં બોલતા અનવર-ઉલ-હકે કહ્યું કે, 'જો ભારત બલુચિસ્તાનમાં હિંસા ફેલાવશે, તો પાકિસ્તાન દિલ્હીના લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી જવાબ આપશે. અલ્લાહની મહેરબાનીથી અમે આ કરી બતાવ્યું છે અને અમારા બહાદુર લોકોએ જ તેને અંજામ આપ્યો છે.'
અનવર-ઉલ-હકના દાવા પર પાકિસ્તાન સરકારે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું છે કે, 'ભારત સાથેના મોટા પાયે યુદ્ધની શક્યતાને નકારી શકાતી નથી'. તણાવ વધી રહ્યો હોવાથી, પાકિસ્તાને એવું પણ જાહેર કર્યું છે કે તેની સેનાને સંપૂર્ણપણે ઍલર્ટ પર મૂકવામાં આવી છે.
પાકિસ્તાનનો ભારત પર અસ્થિરતા ફેલાવવાનો દાવો
પાકિસ્તાન દ્વારા લાંબા સમયથી ભારત પર બલુચિસ્તાનમાં અસ્થિરતા ઊભી કરવાના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. પરંતુ, ભારતે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને ભારપૂર્વક કહ્યું છે કે, 'પાકિસ્તાન પોતાની ધરતી પરથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ પ્રકારના દાવાઓનો ઉપયોગ કરે છે.'
બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદનું કાવતરું
ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસના તારણો અનુસાર, લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયેલી કાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કની યોજનાનો સીધો ભાગ હતી. આ કાવતરાનું સંચાલન જૈશ-એ-મોહમ્મદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હ્યુન્ડાઇ i20 કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બ્રિટનના વિમાન પર રશિયાના વિમાને લેસર બીમ એટેક કરતાં તણાવ વધ્યું, મિલિટ્રી ઓપરેશનની ધમકી
તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાની તૈયારી 10 સભ્યોના એક ગ્રૂપ, જેને 'ટેરર ડૉક્ટર સેલ' કહેવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવી હતી. આ સેલનું સંચાલન કરનાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો મૌલવી ઇરફાન અહેમદ હતો, જે સીધો જૈશ સાથે સંબંધ ધરાવતો હતો. ઇરફાને અલ-ફલાહ મેડિકલ કૉલેજના ઘણા ડૉક્ટરને પોતાની સાથે જોડ્યા હતા; આત્મઘાતી હુમલાવર ડૉક્ટર ઉમર મોહમ્મદ પણ એ જ કૉલેજનો હતો. તપાસ અધિકારીઓ પુષ્ટિ કરે છે કે આ સેલના અન્ય તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

