| AI Images |
New York Bus Accident: નાયગ્રા ધોધથી ન્યુયોર્ક શહેર જઈ રહેલી એક પ્રવાસી બસ પલટી ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યાઅનુસાર, બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માત શુક્રવારે (22મી ઓગસ્ટ) સર્જાયો હતો.
બસમાં ભારતીય મુસાફરો સવાર હતા
અહેવાલો અનુસાર, બસમાં 54 મુસાફરો હતા. મોટાભાગના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા, જેના કારણે અકસ્માત દરમિયાન બારીઓ તૂટી જતાં ઘણા મુસાફરો બસમાંથી નીચે પડી ગયા હતા. બસમાં બાળકો પણ હતા અને મોટાભાગના મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિન્સના હતા. મર્સી ફ્લાઇટ અને અન્ય ઈમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્ત લોકોને બફેલોમાં એરી કાઉન્ટી મેડિકલ સેન્ટર સહિત વિસ્તારની હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા. 40થી વધુ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. મુસાફરોને માથામાં ઈજાઓથી લઈને તૂટેલા હાથ અને પગ સુધીની ઈજાઓ પહોંચી છે.
મૃતકોની ઓળખ બિહારના શંકર કુમાર ઝા (65), ન્યૂ જર્સીના પિંકી ચાંગરાણી (60), ચીનના બેઇજિંગની ઝી હોંગઝુઓ (22), ન્યૂ જર્સીના ઝાંગ શિયાઓલાન (55) અને જિયાન મિંગલી (56) તરીકે થઈ છે.
ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે 'X' પર લખ્યું 'દુ:ખદ બસ અકસ્માત વિશે માહિતી મળી છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.'
વરિષ્ઠ યુએસ સેનેટર ચક શુમરે જણાવ્યું હતું કે, 'અમે જે લોકો ગુમાવ્યા છે અને જે ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું ખૂબ જ દુઃખી છું, અને હું તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.'


