Coronavirus: બ્રિટનમાં મૃત્યુઆંક 10 હજારને પાર, 24 કલાકમાં મોતની સંખ્યા ઘટી
લંડન, 12 એપ્રિલ 2020 રવિવાર
કોરોના વાયરસને કારણે બ્રિટનમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં આ જીવલેણ બીમારીએ 737 લોકોને પોતાનો ભોગ બનાવ્યા. આની સાથે જ દેશમાં કોરોના મૃત્યુઆંક 10,612 પર પહોંચી ગયો છે.
બીજી તરફ કોરોનાની સારવાર કરાવી રહેલા વડાપ્રધાન બોરિસ જ્હોનસનને રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા. હવે તેઓ સ્વસ્છ છે અને ઘરે છે. યૂરોપમાં અત્યાર સુધી 75 હજારથી વધુ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે.
બ્રિટનમાં અત્યાર સુધી કુલ 84,279 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રવિવારે 24 કલાકમાં 737 લોકોના મોત થયા જે છેલ્લા બે દિવસમાં થનારા મૃત્યુની સરખામણીએ ઓછા રહ્યાં.આના પહેલા બંને દિવસોમાં એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
જોકે, અત્યાર સુધી દેશમાં માત્ર 344 લોકો જ સ્વસ્થ થઈ શક્યા છે. આમાંથી એક વડાપ્રધાન બોરિસ જ્હોનસન પણ છે. આશરે 1 સપ્તાહ પહેલા હોસ્પિટલમાં એડમિટ થયેલા બોરિસને ICUમાં દાખલ કરવા પડ્યા હતા.
હોસ્પિટલથી પરત આવ્યા બાદ પીએમ એ દેશના લોકો અને નેશનલ હેલ્થ સર્વિસ (NHS)નો આભાર માન્યો. તેમણે કહ્યું કે, દેશ અત્યારે એવા દુશ્મનનો સામનો કરી રહ્યો છે જેના વિશે કોઈ સમજ નથી.
PMએ તેની સારસંભાળ કરનારી નર્સોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કેવી રીતે સમગ્ર NHS લોકોને બચાવવા જોડાયેલું છે. તેમણે કહ્યું કે, NHSને કારણે બ્રિટન કોરોના સામે જીત મેળવશે.