World

'કોરોના મહામારીનો અંત નથી આવ્યો, ધ્યાન નહીં આપીએ તો અનેક અડચણોની શક્યતા'

By GS Team
23 Sep 20222 mins read
This article was originally published on 23 Sep 2022
'કોરોના મહામારીનો અંત નથી આવ્યો, ધ્યાન નહીં આપીએ તો અનેક અડચણોની શક્યતા'

- સાપ્તાહિક મૃતકઆંકનો આંકડો જાન્યુઆરી 2021માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર 10 ટકા જેટલો જ રહ્યો 

જિનેવા, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન યુએસમાં કોરોના મહામારી સમાપ્ત થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસના કહેવા પ્રમાણે અંતને જોઈ શકાય છે એનો મતલબ એવો ન થાય કે આપણે અંત તરફ છીએ. 

તેમણે કોવિડ-19 મહામારીનો અંત નજીક હોવાના દાવાને ફગાવીને હજું ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે તેવી માહિતી આપી હતી. જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, દુનિયા કોરોના મહામારીને ખતમ કરવાની આટલી સારી સ્થિતિમાં અગાઉ કદી નહોતી, અંત નજીક છે તેમ કહી શકાય. 

ટેડ્રોસના કહેવા પ્રમાણે મહામારીને સમાપ્ત કરવા માટે દુનિયા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં એટલા માટે છે કારણ કે, હાલ સાપ્તાહિક મૃતકઆંકમાં ઘટાડો ચાલુ છે. જે આંકડો જાન્યુઆરી 2021માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર 10 ટકા જેટલો જ રહ્યો છે. 

ટીકાકરણ અંગે પણ આપી માહિતી

ટેડ્રોસે જણાવ્યું કે, વિશ્વની બે તૃતિયાંશ (2/3) વસ્તીને કોરોના વેક્સિન આપી દેવાઈ છે. તેમાં ત્રણ ચતુર્થાંશ (3/4) સ્વાસ્થ્ય કાર્યકરો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું કે, આપણે 2.5 વર્ષ જેટલો સમય એક લાંબી, અંધારી સુરંગમાં વિતાવ્યો છે અને હવે આપણે તે સુરંગના અંતમાં પ્રકાશ જોવાનું શરૂ કરી રહ્યા છીએ. જોકે હજુ એક લાંબો રસ્તો કાપવાનો બાકી છે, હજુ એવી અનેક અડચણો છે જે ધ્યાન નહીં આપીએ તો આપણને હેરાન કરી શકે છે.

આ પણ વાંચોઃ કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર થયેલ મોત પણ કોવિડ ડેથ ગણાશે