Get The App

'બ્રાઝિલના લોકોને ભારતીયો પસંદ...', પ્રમુખ લુલાનું ભારત સાથે એલાયન્સ બનાવવા વિચાર

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
'બ્રાઝિલના લોકોને ભારતીયો પસંદ...', પ્રમુખ લુલાનું ભારત સાથે એલાયન્સ બનાવવા વિચાર 1 - image

Brazil-India Relationship: વૈશ્વિક વેપારમાં વધતા તણાવ વચ્ચે ભારત અને બ્રાઝિલના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા ડી સિલ્વાએ જાહેરાત કરી છે કે, તેમનો દેશ ભારત સાથે રાજકીય, આર્થિક અને ટેકનોલોજીના સહયોગને વધારવા માટે વ્યૂહાત્મક ગઠબંધન બનાવવાની યોજના ધરાવે છે. આ જાહેરાત તેમણે ઉપપ્રમુખ ગેરાલ્ડો અલ્કમિનની ભારત યાત્રા બાદ તરત જ કરી હતી. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. 

બ્રાઝિલ પ્રમુખે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

પોતાના પોસ્ટમાં બ્રાઝિલ પ્રમુખે ભારતની ક્ષમતાઓની પ્રશંસા કરી અને તેને બ્રાઝિલને ભવિષ્યના વિકાસ માટે એક 'અસાધારણ ભાગીદાર' ગણાવ્યું. તેમણે કહ્યું કે, 'આગામી વર્ષની શરૂઆતમાં મારી મુલાકાતની તૈયારી માટે ઉપપ્રમુખ ગેરાલ્ડો અલ્કમિનની ભારત યાત્રા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, ભારત એક અસાધારણ બજાર ધરાવે છે. અમે ભારત સાથે રાજકીય, અંતરિક્ષ, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક ક્ષેત્રોમાં એક શાનદાર ગઠબંધન બનાવી શકીએ છીએ."

આ પણ વાંચોઃ કોર્ટની લપડાક, લોકોનો વિરોધ છતાં ટ્રમ્પ હવે સાન ફ્રાન્સિસ્કોમાં સૈન્ય તહેનાત કરવા ઉતાવળા

તેમણે બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂકતા કહ્યું કે, "ભારતીયો બ્રાઝિલને પસંદ કરે છે અને બ્રાઝિલના લોકો ભારતીયોને. તેથી અમે ભારત સાથે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી બનાવીશું અને બંને દેશોની અર્થવ્યવસ્થાઓને આગળ વધારીશું." ઉલ્લેખનીય છે કે પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા 2026ની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે.

આર્થિક સંબંધો સ્પર્ધા નહીં, પણ પૂરક

બ્રાઝિલના ઉપપ્રમુખ ગેરાલ્ડો અલ્કમિનની ભારત યાત્રાનો મુખ્ય હેતુ વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવા અને ભારતીય બજારમાં કામ કરવા ઈચ્છુક બ્રાઝિલિયન કંપનીઓ માટે નવા અવસરો શોધવાનો હતો. ભારતમાં પોતાની બેઠકો દરમિયાન અલ્કમિનએ કહ્યું કે, "ભારત અને બ્રાઝિલના આર્થિક સંબંધો સ્પર્ધાત્મક નહીં પણ એકબીજાના પૂરક (મદદરૂપ) છે. અમે બે લોકતાંત્રિક દેશોની વાત કરી રહ્યા છીએ જે બહુપક્ષવાદની રક્ષા કરે છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, જેની વાર્ષિક વૃદ્ધિ લગભગ 7 ટકા છે, જ્યારે બ્રાઝિલનું કૃષિ ઉત્પાદન આ વર્ષે 16 ટકા વધ્યું છે. આનાથી ટેક્નોલોજી, ઉદ્યોગ, ખનન અને કૃષિ ક્ષેત્રોમાં સહયોગના સારા અવસર બન્યા છે.

આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના: દુબઈથી હોંગકોંગ આવતું વિમાન રન-વેથી લપસી દરિયામાં ગરકાવ, 2ના મોત

લુલાએ અલ્કમિનની યાત્રાથી મળેલી સારી ખબરોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એમ્બ્રેયર (Embraer) કંપની ભારતમાં નવી ઓફિસ ખોલી રહી છે, વ્યાપારને સરળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક વીઝા અને નવી ભાગીદારીઓ બની રહી છે.