Get The App

2700 વર્ષ બાદ વતન વાપસી: ભારતથી ઈઝરાયલ પહોંચેલા 'બની મેનાશે' યહૂદીઓનું ભવ્ય સ્વાગત, ઍરપોર્ટ પર ભાવુક દૃશ્યો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
2700 વર્ષ બાદ વતન વાપસી: ભારતથી ઈઝરાયલ પહોંચેલા 'બની મેનાશે' યહૂદીઓનું ભવ્ય સ્વાગત, ઍરપોર્ટ પર ભાવુક દૃશ્યો 1 - image


 Video Grab X

Bnei Menashe Israel Return: ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર અને મિઝોરમમાં વસતા બની મેનાશે સમુદાય માટે 23 એપ્રિલનો દિવસ ઐતિહાસિક બની ગયો. આ સમુદાયના 250 સભ્યો જ્યારે ઈઝરાયલના બેન ગુરિયન ઍરપૉર્ટ પર ઉતર્યા, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. 27 સદીઓ પહેલા વિખૂટા પડેલા આ લોકોને ઈઝરાયલ સરકારે લોસ્ટ ટ્રાઇબ્સ (ખોવાયેલા યહૂદી કબીલા) તરીકે આવકાર્યા છે.

ઓપરેશન વિંગ્સ ઑફ ડૉન

આ પ્રવાસીઓની ઘર વાપસી ઈઝરાયલના ખાસ કાર્યક્રમ ઓપરેશન વિંગ્સ ઓફ ડૉન અંતર્ગત કરવામાં આવી છે. એરપોર્ટ પર ઈઝરાયલના ઇમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે પોતે હાજર રહીને તેમનું સ્વાગત કર્યું હતું. લાઉડ સ્પીકર પર ઓસે શાલોમની ધૂન અને હાથમાં ઈઝરાયલના ઝંડા સાથે આ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબકારા વધ્યા

કોણ છે આ બની મેનાશે?

બની મેનાશે એટલે મેનાશેના પુત્રો. તેઓ બાઇબલના મેનાશ કબીલાના વંશજ હોવાનો દાવો કરે છે. 722 ઈસા પૂર્વે અસીરિયન હુમલા બાદ તેઓ નિર્વાસિત થયા હતા. સદીઓ સુધી ઈરાન, અફઘાનિસ્તાન, તિબેટ અને ચીનમાં ભટક્યા બાદ તેઓ ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થાયી થયા હતા. ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા હોવા છતાં, તેમણે પેઢી દર પેઢી યહૂદી ધર્મની ખતના જેવી અનેક પરંપરાઓ જાળવી રાખી હતી.

9 વર્ષ પછી મેળાપ અને આંખમાં આંસુ

ઍરપૉર્ટ પર અનેક હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા. 71 વર્ષીય ડગન જોલેટ, જેઓ 2006માં જ ઈઝરાયલ સ્થાયી થયા હતા, તેઓ 9 વર્ષ પછી પોતાના પાડોશીને મળીને રડી પડ્યા હતા. જોલેટે જણાવ્યું કે, આ માણસ મારા માટે ભાઈ સમાન છે. ઉલ્લેખનીય છે કે, જોલેટના પુત્રનું તાજેતરમાં ગાઝા યુદ્ધ દરમિયાન હમાસના રોકેટ હુમલામાં મોત થયું હતું, જે દુઃખમાં આ મિત્રનો સાથ તેમના માટે ખૂબ મહત્ત્વનો હતો.

નાગરિકતા માટેની શરત

ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હજુ પણ આ સમુદાયના હજારો સભ્યો રહે છે, જેમને તબક્કાવાર ઈઝરાયલ લાવવામાં આવશે. જોકે, ઈઝરાયલના કાયદા મુજબ, આ પ્રવાસીઓએ ઈઝરાયલના પૂર્ણ નાગરિક બનવા માટે વિધિવત રીતે યહૂદી ધર્મ અંગીકાર કરવો પડશે.