સીઝફાયર બાદ હવે 'બોર્ડર' શબ્દ મુદ્દે અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે વિવાદ, કતારે બદલવો પડ્યો કરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Afghanistan Pakistan Dispute: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે કતારમાં થયેલી યુદ્ધવિરામ વાટાઘાટોમાં, કરારના ડ્રાફ્ટમાં 'બોર્ડર' શબ્દના ઉપયોગને કારણે વિવાદ થયો. અફઘાનિસ્તાને આ શબ્દ પર વાંધો ઉઠાવ્યો, કારણ કે તે ડ્યુરન્ડ લાઇનને સત્તાવાર ઇન્ટરનેશનલ બોર્ડર તરીકે સ્વીકારતું નથી. જેના કારણે કતારને સત્તાવાર નિવેદનમાંથી 'બોર્ડર' શબ્દ હટાવીને સુધારો કરવો પડ્યો. કતારે સત્તાવાર નિવેદનમાં શબ્દ બદલીને તેને ફક્ત 'બંને દેશો વચ્ચેની સ્થિરતા' પૂરતો સીમિત કરી દીધો. આ મામલે અફઘાન સંરક્ષણમંત્રી મૌલવી યાકૂબ મુજાહિદે સ્પષ્ટતા કરી કે ડ્યુરન્ડ કાલ્પનિક રેખા પર કોઈ ચર્ચા થઈ નથી અને તે અફઘાન જનતાનો આંતરિક મામલો છે.
શા માટે છે ડ્યુરન્ડ લાઇન પર વિવાદ?
ડ્યુરન્ડ લાઇન પર વિવાદનું મુખ્ય કારણ એ છે કે 2,640 કિલોમીટર લાંબી આ રેખા 1893માં બ્રિટિશ શાસન દ્વારા દોરવામાં આવી હતી, જેણે પશ્તૂન વિસ્તારોને વિભાજિત કર્યા હતા.
અફઘાનિસ્તાન તેને બ્રિટિશ સંસ્થાનવાદની કાલ્પનિક રેખા માનીને ક્યારેય સત્તાવાર સરહદ તરીકે સ્વીકારતું નથી, જ્યારે પાકિસ્તાન તેને માન્ય સરહદ ગણે છે. આ કારણે જ 'બોર્ડર' શબ્દ અફઘાનિસ્તાન માટે સંવેદનશીલ છે.
દોહા કરારનો મુખ્ય હેતુ
કતારના વિદેશ મંત્રાલયે 19 ઓક્ટોબરે જાહેરાત કરી કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ અને કાયમી શાંતિ માટે રોડમેપ બનાવવા પર સહમત થયા છે. કતાર અને તૂર્કિયે દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલી વાટાઘાટોમાં બંને પક્ષો યુદ્ધવિરામની સ્થિરતા સુનિશ્ચિત કરવા આગામી દિવસોમાં બેઠકો ચાલુ રાખશે.
અફઘાન સંરક્ષણ મંત્રીનું સખત નિવેદન
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી મૌલવી મોહમ્મદ યાકૂબ મુજાહિદે આ વિવાદ પર કહ્યું, 'અમારા કરારમાં કોઈ પણ પ્રકારની સરહદ ડ્યુરન્ડ લાઇન પર ચર્ચા થઈ નથી. આ મુદ્દો અફઘાન જનતા સાથે જોડાયેલો છે અને કોઈ પણ અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી શકે નહીં. આગામી તૂર્કિયે વાટાઘાટોમાં વાતચીત માત્ર વર્તમાન કરારના માળખા પર કેન્દ્રિત હશે, ન કે કોઈ સરહદ નિર્ધારણ પર.' ત્યારબાદ કતારે નિવેદન સુધારીને કહ્યું, ;આ કરાર બંને ભાઈચારા ધરાવતા દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા માટે છે.;
આ વિવાદ પર પાકિસ્તાન મૌન
પાકિસ્તાને આ વિવાદ પર હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી. ઈસ્લામાબાદે વાટાઘાટોની સફળતા અને અમલીકરણ પર ધ્યાન આપવાની વાત જણાવી છે. જોકે, પાકિસ્તાની મીડિયામાં તેને 'ડ્યુરન્ડ લાઇન સુરક્ષા વ્યવસ્થા' તરીકે રજૂ કરાતાં અફઘાનિસ્તાન નારાજ થયું છે. આ વિવાદ માત્ર શબ્દનો નહીં, પણ સમગ્ર દક્ષિણ એશિયાની કૂટનીતિ સાથે જોડાયેલો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાકિસ્તાન પર સરહદ ઉલ્લંઘનનો આરોપ લગાવે છે, જ્યારે પાકિસ્તાન સરહદ સુરક્ષા વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવા ઈચ્છે છે.








