Iran-America Tension: ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. હાલની પરિસ્થિતિને જોતા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. આ તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે ગુરુવારે પરમાણુ વાટાઘાટો માટે બેઠક થઈ હતી. તેહરાન પર કરાર કરવા પર સહમત થવા અથવા અમેરિકન લશ્કરી હુમલાનો સામનો કરવા માટે દબાણ છે. જિનીવામાં અમેરિકાએ ઈરાન સામે 5 મોટી શરતો રાખી છે. જેમાં ઈરાનને પોતાના ત્રણેય પરમાણુ પ્લાન્ટ (ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન)ને નષ્ટ કરવા સામેલ છે. આ ઉપરાંત અમેરિકાએ ઈરાન સામે તેમના તમામ સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપવાની શરત મૂકી છે.
જિનીવામાં ત્રીજા રાઉન્ડની બેઠક
ઓમાનની મધ્યસ્થી હેઠળ જિનીવામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે કે જો બંને દેશો વચ્ચે ન્યુક્લિયર ડીલ પર કોઈ સહમતિ ન સધાઈ તો ઈરાનને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ ઈરાન અમેરિકાની ઘણી શરતો સ્વીકારવા રાજી નથી.
અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી છે કે તેણે પોતાના ત્રણેય પરમાણુ કેન્દ્રો (ફોર્ડો, નાતાન્ઝ અને ઈસ્ફહાન) નષ્ટ કરવા પડશે. આ ઉપરાંત પોતાના તમામ સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને સોંપવા પડશે.
યુરેનિયમ સંવર્ધન શૂન્ય રાખવું
ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકાની એક શરત એ પણ છે કે તેહરાનને યુરેનિયમ સંવર્ધન શૂન્ય અથવા ખૂબ જ નીચા સ્તર સુધી મર્યાદિત રાખવું પડશે. પરંતુ ઈરાન તેહરાન રિસર્ચ રિએક્ટર પોતાની પાસે રાખી શકે છે.
ઈરાન શરતો સ્વીકારે તો પ્રતિબંધોમાં ઢીલ
અમેરિકાનું કહેવું છે કે તે શરૂઆતમાં પ્રતિબંધોમાં ઓછામાં ઓછી ઢીલ આપવામાં આવશે. જો ઈરાન શરતો સ્વીકારે તો વધુ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ જો ડીલ ફાઈનલ ન થઈ તો અમેરિકા ઈરાન પર વધુ કડક પ્રતિબંધો લાદશે.
આ પણ વાંચો: 'યુદ્ધ અને શાંતિ બંને માટે તૈયાર છીએ, પરંતુ યુરેનિયમ સંવર્ધન તો કરતા જ રહેશું'
અમેરિકાએ સનસેટ ક્લોઝથી ઈનકાર કરી દીધો છે. તે કોઈપણ કરારની અવધિ પર કોઈ મર્યાદા નથી ઈચ્છતું. સનસેટ ક્લોઝ એ કોઈપણ ડિલમાં સામેલ એ શરત અથવા જોગવાઈ હોય છે જે જણાવે છે કે કાયદો હવે એક ચોક્કસ તારીખ પછી અસરકારક રહેશે નહીં, સિવાય કે તેને કાયદાકીય કાર્યવાહી દ્વારા લંબાવવામાં ન આવે.
યુરેનિયમ સંવર્ધન બંધ કરો
યુરેનિયમ સંવર્ધન એ અમેરિકા અને ઈરાન વચ્ચેનો મુખ્ય મુદ્દો છે. અમેરિકાએ શરત મૂકી છે કે ઈરાને યુરેનિયમ સંવર્ધન બંધ કરવું પડશે. જોકે, ઈરાને અત્યાર સુધી આમ કરવાનો ઈનકાર કર્યો છે. 8 ફેબ્રુઆરીના રોજ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ યુરેનિયમ સંવર્ધન છોડવાની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું કે અમે અમેરિકાના યુદ્ધની ધમકીઓથી ડરતા નથી.


