કોટાની હોસ્પિટલમાં 100 બાળકોના મોતનું રહસ્ય શું ?
બાળકોના મોતની ઘટના બાબતે રાજકારણ શરુ થયું છે
તમામ બાળકોના મોત જન્મની સાથે ઓછું વજન હોવાથી થયા
.
રાજસ્થાનના કોટા શહેરની એક હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ૧૦૦થી વધુ બાળકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રથમ દિવસે હોસ્પિટલમાં ૯ બાળકોના મોત થતા ઉહાપોહ થયો પરંતુ જોત જોતામાં મુત્યુદર વધીને ૧૦૦ થતા સમગ્ર દેશમાં કોટાની હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બની છે. બાળકોના મોતની ઘટના બાબતે રાજકારણ શરુ થયું છે .રાજસ્થાનની વિપક્ષી પાર્ટી બીજેપીએ કોંગ્રેસની અશોક ગહેલોત સરકાર પર બેદરકારી રાખવાનો આરોપ મુક્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર વચ્ચે સૌથી મહત્વનો સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં બાળકોનો મોત કેમ થયા? તેની પાછળ કયા કારણો જવાબદાર છે તે જાણવું જરુરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પીટલના તમામ બાળકોના મોત જન્મની સાથે ઓછું વજન હોવાથી થયા છે. બાળકોને ન્યુમોનિયા,સેપ્ટિસિમિયા અને શ્વાસ લેવાની સમસ્યા હતી. સરકારી સંસ્થા નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટસે જયારે આ હોસ્પીટલની તપાસ કરી ત્યારે હોસ્પીટલની બારીઓના કાચ અને બારણા તૂટેલા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન સહિત સમગ્ર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી હોવાથી બાળકો ઠંડીનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે.જો કે આ બધા દાવાની વચ્ચે હોસ્પીટલના સુપરિટેન્ડેન્ટે એવો દાવો કર્યો છે કે ૨૦૧૮ની સરખામણીમાં નવજાત બાળકોના મરણની સંખ્યામાં આ વર્ષે ઓછી છે.
નવાઇની વાત તો એ છે કે હોસ્પીટલમાં ૧૦૦ જેટલા બાળકોના મુત્યુદરનો આંકડો છેલ્લા ૬ વર્ષંમાં સૌથી ઓછો છે. આનો મતલબ કે ગત વર્ષે પણ આ હોસ્પીટલમાં ૧૦૦થી વધુ નવજાત શીશુનો ભોગ લેવાયો હતો. કોટાની હોસ્પિટલ તો એક માત્ર ઉદાહરણ છે આ સિવાય અનેક સરકારી હોસ્પીટલોમાં સારવાર અને સુવિધાના અભાવે સેંકડો નવજાતના મોત થાય છે પરંતુ તેમની વિગતો અને માહિતી બહાર આવે ત્યારે જ ઉહાપોહ થાય છે.