અઁમદાવાદ,13, એપ્રિલ-2020, સોમવાર
કોરોના વાયરસની મહામારી પછી આપવામાં આવેલા અચાનક લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજયોમાંથી સેંકડો શ્રમિકોએ સ્થળાંતર કર્યુ હતું. તેઓ મોટા શહેરોમાં રોજીંદા વેતન દરે આજીવિકા રળતા હતા પરંતુ લોકડાઉનમાં તેમની આવકને ફટકો પડતા શહેરો છોડીને પોતાના વતન તરફ ચાલતી પકડી હતી. રેલ્વે અને માર્ગ વાહન વ્યહવાર બંધ હોવાથી રસ્તાઓ પોતાના વતન તરફ જતા મજૂરોથી ઉભરાતા હતા. દેશ ભરમાં કોરોના વાયરસ લોક ડાઉન પછી લાખો લોકો પોતાના વતન ગયા છે તેમના દ્વારા કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી ગયો છે આ અંગે વિશ્વબેંકે પણ ચિંતા કરી છે.
પહેલા તો એવો અંદાજ હતો કે લોક ડાઉન પછી કોરાના વાયરસના સંક્રમણની સાંકળ તૂટી જશે પરંતુ લોક ડાઉન દરમિયાન જ વતન તરફ ગયેલા લોકોથી દેશના ગ્રામીણ વિસ્તારને ખતરો છે. અત્યાર સુધી આ વિદેશ પ્રવાસ કરીને આવેલા મુસાફરો દ્વારા ફેલાતા સંક્રમણ અંગે જ વિચાર કરવામાં આવતો હોત પરંતુ હવે સ્થળાંતર કરી ગયેલા શ્રમિકોના પણ કોરોના ટેસ્ટ લેવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

લોકડાઉન પછી પ્રવાસીઓના કોરોના સંક્રમણ અંગે વિચાર કરવામાં આવ્યો ન હતો. વિશ્વ બેંકનું માનવું છે કે સાઉથ એશિયાના બાકી દુનિયાની સરખામણીમાં વસ્તીની ગીચતા વધારે છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ ગિચતા ખૂબજ વધારે છે. આ અહેવાલમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નામ પણ ટાંકવામાં આવ્યું છે. લોક ડાઉન પછી જે ઘરે જવાની ભાગડોડ મચી ગઇ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ બની ગયું હતું. અહેવાલમાં જણાવાયું છે કે સાઉથ એશિયામાં અમેરિકા અને ચીનની સરખામણીમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ઓછી છે આથી અમેરિકાની સરખામણીમાં કોરોના વાયરસ સંક્રમણની સંખ્યા અને મૃત્યુઆંક ઓછો રહે તેવી શકયતા છે. જો કે સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે મોતનું પ્રમાણ વધી શકે છે.


