આલ્કોહોલ, બ્લીચ અને હાઇડ્રોજન પેરોકસાઇડ કોરોના વાયરસનો નાશ કરવા કેટલા સક્ષમ ?
આલ્કોહોલ દ્વાવણને 30 સેકન્ડ સુધી સાફ કરવાથી કોરોના વાયરસનો નાશ કરી શકાય
કોરોના વાયરસ માટે પાણીમાં આલ્કોહોલનું પ્રમાણ 70 ટકા જેટલું હોવું જરુરી
અમદાવાદ, 8 એપ્રિલ, 2020, બુધવાર
કોરોના વાયરસનો પ્રકોપ દુનિયામાં ફેલાઇ રહયો છે ત્યારે આ મહામારી સામે લડવાનો એક માત્ર ઉપાય કાળજી અને સ્વચ્છતા છે. કોરોના વાયરસ કઇ ચીજ પર કેટલા સમય સુધી રહે છે તે જાણવું પણ એટલું જ જરુરી છે. દાત જેમ કે પ્લાસ્ટિકની પ્લેટ પર તે 15 થી 16 કલાક સુધી ટકી શકે છે જયારે પિતળ કે તાંબા પર 6 થી કલાક જ રહે છે. આથી જ તો આરોગ્ય નિષ્ણાતોએ રોજીંદા વપરાશની વસ્તુંઓ સાફ કરવાની સલાહ આપી છે.
અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી)ના જણાવ્યા અનુસાર ધરમાં કોઇ વ્યકિતને સર્દી કે ખાંસી હોયતો સાબુ,ડિટરજન્ટ અને કેમિકલનો ઉપયોગ કરીને સફાઇ કરવી જરુરી છે. જો કેમિકલથી સાફ કરતા હોવ ત્યારે પણ વાયરસનો પ્રભાવ ખતમ કરવા માટે 20 સેકન્ડથી માંડીને 1 મીનિટ સુધી કેમિકલનું વાયરસવાળી જગ્યાએ હાજર હોવું આવશ્યક છે. કયા કેમિકલની કેટલી અસર થાય છે તે જાણવું ખૂબજ જરુરી છે.
આલ્કોહોલ કોઇ પણ વાયરસ કે બેકટેરિયાનો નાશ કરવા માટે સારો વિકલ્પ છે આથી જ તો કોરોના વાયરસથી બચવા માટે આલ્કોહોલવાળા સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જાણકારોનું માનવું છે કે આલ્કોહોલના ચોકકસ પ્રમાણને પાણીમાં મેળવીને સફાઇ કરીને સપાટી પર કોરોનાનો ખાતમો બોલાવી શકાય છે એના માટે કોરોનામાં પાણીમાં આલ્કોહોલનું પ્રમાણ 70 ટકા જેટલું હોવું જરુરી છે. આવી જ રીતે એલોવેરામાં મેળવીને પણ હેન્ડ સેનિટાઇઝર બનાવી શકાય છે. બજારમાં મળતા હેન્ડ સેનિટાઇઝર્સંમે આલ્કોહોલનું પ્રમાણ 60 ટકા સુધી હોયતો પણ તે અસર કરે છે. સપાટી પર 70 ટકા આલ્કોહોલવાળા દ્વાવણને 30 સેકન્ડ સુધી સાફ કરવાથી કોરોના વાયરસનો નાશ કરી શકાય છે. બ્લીચના દ્વાવણથી અલગ આલ્કોહોલના દ્વાવણનો સીલપેક કરીને 24 કલાકથી વધુ સમય માટે ઉપયોગમાં લઇ શકાય છે. સીલ પેક નહી કરવાથી આલ્કોહોલ ઉડી જવાનો પણ ભય રહે છે.
આવી જ રીતે નિષ્ણાતો હાઇડ્રોજન પેરોકસાઇડના મિશ્રણને પણ સફાઇ દરમિયાન ઉપયોગ કરવાની સલાહ આપે છે. કોરોના વાયરસ સામે આ પણ કારગર હથિયાર છે.સામાન્ય રીતે હાઇડ્રોજન પેરોકસાઇડનું દ્વાવણ 3 ટકા બજારમાં મળે છે. જો કે પાણીમાં ઓછામાં ઓછું 0.5 ટકા પ્રમાણ હોયતો પણ કોરોના વાયરસ સામે અસરકારક સાબીત થાય છે. જો કે આ દ્વાવણ એક મીનિટ કરતા વધારે સમય રહેવું જરુરી છે. આવી જ રીતે બ્લીચને ઠંડા પાણીમાં મેળવીને ઉપયોગ કરવાથી કોરોના સહિત તમામ વાયરસ સામે અસરકારક છે. નિષ્ણાતોનું માનવું છે કે ચાર લીટર નોર્મલ તાપમાન ધરાવતા પાણીમાં એક કપ બ્લીચ મેળવીને સફાઇ કરવાથી પણ કોરોના વાયરસનો ખાતમો થાય છે. જો કે 24 કલાકમાં બ્લીચની અસર જતી રહે છે.