શું પ્રદૂષણથી શરીરમાં ઇન્સ્યુલિન પેદા થવામાં વિક્ષેપ થાય છે ?
ભારત અને ચીનમાં હવાનું પ્રદૂષણ સૌથી વધારે
વિશ્વમાં 46 કરોડ લોકો ડાયાબિટીસ ધરાવે છે
ન્યૂયોર્ક,
ખાણી પીણી અને જીવનશૈલીથી જ નહી વાયુ પ્રદૂષણનો ભોગ બનવાથી પણ ડાયાબિટીસ થાય છે. અમેરિકાની વોશિંગ્ટન યૂનિવર્સિટી ઓફ મેડિસિનના પ્રયોગાત્મક સંશોધનમાં પણ જાણવા મળ્યું હતું કે દર સાત માંથી એક વ્યકિતને ડાયાબિટીસ થવાનું કારણ વાયુ પ્રદૂષણ હતું. ૧૭ લાખથી પણ વધુ લોકોની ચકાસણી કરતા માલૂમ પડયું કે તેઓ ડાયાબિટીસનો કોઇ જ વારસો કે અન્ય કારણ ધરાવતા ન હતા. એક વર્ષ પહેલા થયેલા આ સંશોધનમાં વેટરન્સ અફેયર્સ કલીનિકલ એપિડેમિલોજી સેન્ટરના વૈજ્ઞાનિકો પણ સંકળાયેલા હતા.
એક માહિતી મુજબ ૩૨ લાખથી વધુ લોકો પ્રદૂષિત હવાના લીધે ડાયાબિટીસનો ભોગ બને છે. આમ ડાયાબિટીસ માત્ર તણાવવાળી જીવનશૈલી અને વારસાગત કારણોસર થાય છે એ સાચું નથી. વિશ્વમાં ૪૬ કરોડથી પણ વધુ લોકો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. ભારત અને ચીનમાં સૌથી વધુ વસ્તી અને સૌથી વધુ હવાનું પ્રદૂષણ હોવાથી આ સંશોધન ચેતવણી રુપ છે. કારણ કે વિશ્વમાં ડાયાબિટીસના કુલ દર્દીઓના અડધા તો માત્ર આ બે દેશો જ ધરાવે છે. વાયુ પ્રદૂષણથી શરીરમાં ઇન્સ્યુલિન પેદા થવામાં અવરોધ ઉભો થાય છે આથી શરીર બ્લડશુગરને શારીરિક સ્વાસ્થ્ય માટે જરુરી ઉર્જામાં પરીવર્તિત કરી શકતું નથી.પરિણામ સ્વરુપ શરીર ડાયાબિટીસનો ભોગ બને છે.