ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું ઍલર્ટ
Rain Forecast: રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે 28 જુલાઈ, 2025એ બનાસકાંઠા, છોટા ઉદેપુર દાહોદ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (28 જુલાઈ) 14 જિલ્લામાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે.
સાબરમતી નદીમાં પાણી છોડાયું
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે. વરસાદી પાણીની આવક વધતાં સંત સરોવરમાંથી 10,400 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને તંત્રએ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે ન જવા માટે સૂચના આપી છે.
14 જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast અનુસાર, સોમવારે (28મી જુલાઈ) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નર્મદા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે (29 જુલાઈ) આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના દાંતામાં બોરડીયાળા શાળાએ જવા 40 વિદ્યાર્થીઓ જીવના જોખમે પાર કરે છે નદી
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ અનુસાર આગામી 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન વિભાગે 3 ઑગસ્ટ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.