Gujarat

ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગરો દિવાળી પછી પણ વતન ઉપડી રહ્યાં હોવાથી ચિંતા

By GS Team
24 Nov 20232 mins read
This article was originally published on 24 Nov 2023
ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગરો દિવાળી પછી પણ વતન ઉપડી રહ્યાં હોવાથી ચિંતા

-વતન ગયેલા કારીગરોને પરત આવા પુરતી ટ્રેનોની વ્યવસ્થા નથી બીજી તરફ અહી છે તેઓ પણ વતન ઉપડતા કારખાના ચાલુ કરવાની સમસ્યા

                 સુરત

દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં કારીગરો વતન ગયા છે અને હજુ પણ ઉપડી રહ્યાં છે કારીગરો પરત ક્યારે થશે ? એ ટેક્સટાઇલ ઉદ્યોગકારો માટે એક ચિંતાનો વિષય તો છે જ. પરંતુ કારીગરો માટે પણ મોટી ચિંતા એ છે કે, વતનથી પરત થવા માટે ટ્રેનની કોઈ સુવિધા નથી.

સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતના જુદાં જુદાં સ્ટેશનોથી વતન જતાં કારીગરોને ટ્રેનની પૂરતાં પ્રમાણમાં સુવિધા મળી રહે તે માટે આ વખતે પશ્ચિમ રેલવેએ સૌથી વધુ ટ્રેનો, ખાસ કરીને ઉત્તરના રાજ્યો માટે હોલી-ડે સ્પેશિયલ દોડાવી હતી. પરિણામે મોટી સંખ્યામાં કારીગરો દિવાળી અને છઠપૂજા જેવા તહેવારની ઉજવણી માટે વતન જઈ શક્યાં છે.

દિવાળી પહેલાંથી શરૃ થયેલો કારીગરોનો આ ફ્લો હજુ આજે પણ ચાલુ રહ્યો છે. સ્પેશિયલ ટ્રેનોની સુવિધાનો પૂરતો લાભ કારીગરો ઉઠાવી રહ્યાં છે. વિવિંગ ઉદ્યોગ માંથી કારીગરો હજુ પણ જઈ રહ્યાં છે, એમ એક કારખાનેદારે વાતચીતમાં જણાવ્યું હતું. કારીગરો ક્યારે પરત થશે એ નક્કી નથી. કારખાનેદારોને એકમો ચાલુ કરવા માટે કારીગરોની સમસ્યા સતાવી રહી છે.

બીજી તરફ, વતન ગયેલાં કારીગરો માટે એક સમસ્યા એ ઊભી થઈ છે કે વતનથી પરત થવા માટે પૂરતી ટ્રેનોની વ્યવસ્થા નથી. પરિવારજનો સાથે તહેવારની ઉજવણી અને છઠપૂજાના કાર્યક્રમનો આનંદ ઉઠાવી લીધો છે. પરંતુ હવે પરત થવા માટે એવી કોઈ સુવિધા નથી. શું કરવું ?એની ચિંતા કારીગરોને સતાવે છે, એમ કાપડ માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.