રથયાત્રા સંપન્ન થયા પછી પણ ભગવાન જગન્નાથજી કેમ આખી રાત રથમાં વિતાવે છે? જાણો રોચક માન્યતા
Jagannath Rath Yatra 2025: આજે 27 જૂન, 2025 એટલે અષાઢી બીજના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ તમામ ભક્તો લાઇનમાં ગોઠવાઈ જાય છે. પરંતુ ભગવાન જગન્નાથજી નગરચર્યા કરી નીજ મંદિરે પરત ફર્યા પછી આખી રાત મંદિરની બહાર રથમાં વિતાવે છે. આવો જાણીએ કે ભગવાન કેમ આખી રાત રથમાં વિતાવે છે.
રિસાયેલા રુક્મિણી ભગવાનને મંદિરમાં પ્રવેશ આપતા નથી
એવી લોકવાયકા છે કે, ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને લઈને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા. પરંતુ આ રથયાત્રામાં પત્ની રુક્મિણીને લીધા વગર જ જાય છે તેથી પત્ની રુક્મિણી રિસાઈ જાય છે. જ્યારે ભગવાન નગરચર્યા કરી નીજ મંદિરે પરત આવે છે, ત્યારે રિસાયેલા રુક્મિણીજી ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતા નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. તે પછી આખી રાત રિસામણા મનામણા ચાલે છે, ત્યારે વહેલી સવારે જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. જગન્નાથજી પત્ની રુક્મિણીને કહે છે કે, 'હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રુક્મિણીને મનાવી લે છે. એ પછી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નીજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Rath Yatra 2025: પુરી અને અમદાવાદની રથયાત્રામાં હોય છે મોટો ફરક, જાણો ખાસ વાતો
ભગવાનની નજર ઉતારીને મંદિરમાં પ્રવેશ કરાવાય છે
આ સાથે વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે ભગવાન ખુદ નગરચર્યાએ બહાર નીકળે છે. ત્યારે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે ભગવાનને ભક્તોની નજર લાગી જાય છે, ત્યારે સૌથી પહેલા ભગવાનની નજર ઉતારવામાં આવે છે. પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ કર્યા ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવે છે.