મુસાફરો આનંદો... રેલવેએ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ઓખા-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન માટે કરી મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22961/22962 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન તારીખ 26 જાન્યુઆરી 2026 થી 07 માર્ચ 2026 દરમિયાન હાલના 16 કોચના બદલે 20 કોચ (20 કોચ રેક) સાથે સંચાલિત કરવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય
આ વૃદ્ધિના અંતર્ગત હાલના C14 કોચની ક્ષમતા 44 સીટોથી વધારીને 78 સીટો કરવામાં આવી રહી છે. તે ઉપરાંત, વધારાના ચાર નવા એસી ચેર કાર કોચ C15, C16, C17 (દરેકમાં 78 સીટો) તથા C18 (44 સીટો) ટ્રેન સંરચનામાં ઉમેરવામાં આવી રહ્યા છે. આ રીતે આ ટ્રેનમાં 278 મુસાફરો વધુ મુસાફરી કરી શકશે.
ઓખા-બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા સાથે દોડાશે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા સાથે "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન સંખ્યા 09562/09561 ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (10 ફેરા)
ટ્રેન સંખ્યા 09562 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન સંખ્યા 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો
ટ્રેન સંખ્યા 09561 અને 09562નું બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.








