ઉનાળાની ગરમીમાં પાણીના ધાંધિયા યથાવત, શહેરના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ
- મહિપરીએજમાંથી પાણીનો જથ્થો ઓછો મળતા બે દિવસ પાણી સમસ્યા રહેશે
- રવિવારે સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી, કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી નહીં મળતા કચવાટઃ આજે પણ કેટલાક વિસ્તારમાં પાણી નહીં મળે
આ અંગેની વિગત એવી છે કે, શહેરના તરસમિયા અને તખ્તેશ્વર ફિલ્ટર પર મહિપરીએજ દ્વારા રો-વોટર આપવામાં આવે છે, જેમાં આજે રવિવાર અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ આશરે ૪૦થી ૪પ એમએલડી પાણની ઘટ આવવાની હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થશે નહીં અથવા અનિયમિત આપી આવશે.તેવી મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે જાહેરત કરી છે. અધિકારીના જણાવ્યાનુંસાર, મહિપરીએજમાંથી પાણીનો ઓછો જથ્થો મળતા આજે પ્રથમ દિવસે શહેરના સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર ઉપરાંત કાળિયાબીડ વિસ્તારમાં સાંજના પ થી ૮ કલાક દરમિયાન કરાતું પાણી વિતરણ થઈ શક્યુંન હતું. જો કે, અન્ય વિસ્તારોમાં પાણી થયું હતું. આવતીકાલે સોમવારે પણ જો પાણીનો જથ્થો ઓછો મળશે તો કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ થઈ શકશે નહીં તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ વિગતો આપતાં ુઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણી કાપ રાખવાનો હોય તો મહાપાલિકા દ્વારા અગાઉ જાણ કરવામાં આવે છે, જેના કારણે લોકોને ખ્યાલ રહેતો હોય છે પરંતુ આજે શહેરીજનોને જાણ કર્યા વગર અચાનક જ પાણી કાપ રાખવામાં આવતા લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
શહેરમાં વારંવાર પાણી કાપથી લોકો થાકયાં
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોઈને કોઈ કારણસર પાણી કાપ રાખવામાં આવતો હોય છે, જેના કારણે લોકો થાકી ગયા છે. હાલ ઉનાળાની ગરમીમાં પાણીની ખુબ જ જરૂરીયાત રહેતી હોય છે ત્યારે જ પાણી કાપ રાખવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. મોટાભાગે વીજ કાપ, મહિપરીએજમાંથી પાણી ન આવવુ, વોટર વર્કસ અને ફિલ્ટર વિભાગની રીપેરીંગ કામગીરી, લાઈન તૂટવી વગેરે કારણસર પાણી કાપ રાખવામાં આવતો હોય છે અને કયારેક અચાનક પાણી કાપ રાખી દેવામાં આવતો હોય છે. મહાપાલિકા દ્વારા પાણી વેરો પુરો લેવામાં આવે છે પરંતુ ઉનાળાની ગરમીમાં પાણી પુરતુ આપવામાં આવતુ નથી તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.