ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
Sabarmati River: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. ત્યારે ધરોઈ ડેમમાંથી 10,7248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો અંદાજીત 10થી 12 કલાક બાદ સુભાષ બ્રિજ પહોંચી શકે છે. જેને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાબરમતી નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
ગાંધીનગરના સંત સરોવરમાંથી 27282 ક્યુસેક પાણી અને વાસણા બેરેજમાંથી 30,836 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓને સાવધ રહેવા અને પૂરની સંભવિત ગામોને કરવા, તેમજ સલામતીના યોગ્ય પગલાં લેવા સૂચના અપાઈ છે.
સંત સરોવરના 21 દરવાજા ખોલાયા
ઉલ્લેખનીય છે કે, વરસાદી પાણીની આવકથી મોટા ભાગના ડેમ છલોછલ થયા છે. ત્યારે ગાંધીનગરના સંત સરોવર ડેમમાં નવા નીરની આવક થતાં તમામ 21 દરવાજા ખોલવા પડ્યા છે. સંત સરોવર ડેમમાં 66,215 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.