Ahmedabad Vastrapur Lake: અમદાવાદના પોશ વિસ્તારમાં વસ્ત્રાપુર તળાવનું રુપિયા 10 કરોડના ખર્ચે કરવામાં આવેલું નવીનીકરણનું કાર્ય આખરે દોઢ વર્ષની લાંબી કામગીરી બાદ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં જ આ તળાવનું ઉદ્ઘાટન કરીને તેને શહેરીજનો માટે ખુલ્લું મૂકશે. જોકે, આ તળાવમાં પ્રવેશ માટે હવે રુપિયા 10ની ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રૂપિયા 10 કરોડના ખર્ચે નવિનીકરણ કરાયું તળાવ
વસ્ત્રાપુર તળાવ અગાઉ ઉંદરો દ્વારા કોતરી ખાવાના કારણે નુકસાન પામ્યું હતું, જેને કારણે AMC દ્વારા લગભગ દોઢ વર્ષ સુધી રૂપિયા 10 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. AMC રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નવીનીકરણ બાદ લોકોના રિવ્યૂ અને સુવિધાઓની જાળવણીને ધ્યાનમાં રાખીને તળાવમાં પ્રવેશ માટે ફી લેવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: અમદાવાદના વાસણામાં કમકમાટીભરી ઘટના: 14મા માળેથી ઝંપલાવી યુવતીનો આપઘાત
મોર્નિંગ વોક માટે નિઃશુલ્ક પ્રવેશ
તળાવમાં પ્રવેશ માટે રૂપિયા 10ની ફી નક્કી કરવામાં આવી છે, પરંતુ સવારે મોર્નિંગ વોક માટે આવતા શહેરીજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા તળાવની જાળવણી માટે ભંડોળ એકઠું કરી શકાશે અને સાથે જ સવારના સમયે આવતા વોકર્સને પ્રોત્સાહન મળશે. નવીનીકરણ બાદ વસ્ત્રાપુર તળાવ હવે વધુ આકર્ષક અને સુવિધાયુક્ત બન્યું છે, જે ટૂંક સમયમાં જ શહેરીજનો માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે.


